કેદારઘાટી


     મારો આ લેખ બે વરસ પહેલા `નવનીત સમર્પણ´ સામયિકમાં છપાયો હતો જે અહીં કેટલાક સુધારા વધારા સાથે મૂકી રહ્યો છું.
     બરફના વિશાળ પટને ખૂંદતા,એક ઊંચી ધાર ચડી અમે પહાડના શિખરે પહોંચ્યા. છાતીમાં શ્વાસ ભલે સમાતો હતો પણ બીજી બાજુંનું ભવ્ય દ્રષ્ય જોતા ઘડીભર થંભી ગયો ! નજર સામે વિશાળ ખીણ ખૂલ્લી થઈ. ચોતરફ હિમપહાડોની કિલ્લેબંધી વચ્ચે હરિયાળા મેદાનો પથરાયા હતા. ખીણમાં નદીની ધારાઓ રમતી દેખાઈ. તેમાં કિલ્લોલ કરતી વહેતી હતી સ્વર્ગગંગા મંદાકિની, અને તેના એક છેડે શોભતી હતી કેદારપુરી ! કેદારધામનું પ્રથમ વિહંગદર્શન હતું. ૨૦૦૫નો જૂન મહિનો અંતિમ ચરણમાં હતો; બપોરના લગભગ એક વાગ્યાનો સમય, અને હિમાલયમાં ભાગ્યે જોવા મળે એવું સ્વચ્છ વાતાવરણ હતું. તડકાને કારણે ચોતરફ પથરાયેલો બરફ આંખો આંજી દેતો હતો. કેદારપુરીની  પશ્ચિમના ગગનચુંબી પહાડના માથે ઊભા રહીને ચોતરફ પથરાયેલા હિમસ્વર્ગને હૃદયનાં અહોભાવથી ક્યાંય સુધી નિહાળતો રહ્યો,  પશ્ચિમે લગભગ હજાર ફૂટ નીચે વાસુકીતાલનાં શાંત પાણી આકાશના રંગોનું પ્રતિબિંબ પાડતા દેખાતા હતાં, તો પૂર્વમાં સેંકડો ફૂટ નીચે જેનું સ્મરણ થતાં ભક્તિભાવથી માથું નમી જાય એવી કેદારપૂરીના દર્શન થતાં હતા. તેને આલિંગન દઈને બે-ત્રણ ધારાઓમાં વહેતી હતી પાવનકારી મંદાકિની. તેની ધારાઓ તો આટલી ઊંચાઈથી માંડ નજરે ચડતી હતી પણ તેનો પથરાળો વિશાળ પટ તો તુરત ધ્યાન આકર્ષતો હતો. પટની બન્ને બાજુ લીલાછમ ઢોળાવો દક્ષિણ ભણી નીચે ઊતરતા દેખાતા હતા, તો નદીના મૂળ પ્રદેશમાં સુમેરુનું અજેય શિખર આકાશ સાથે વાતો કરતું ખડું હતું એની આમન્યા રાખતા બરફીલા પહાડો ચોતરફ પથરાયા હતા, કેદારપ્રભુને નમીને નજર મંદાકિનીની એક ધારાને પકડીને ઉપર ચડી તેને એક બીજા દેવતાઈ સરોવરના દર્શનની ઉત્કંઠા હતી પણ પહાડની એક પાંખે તેને આગળ વધતી અટકાવી;  તેની પછવાડે રહેલું એક સરોવર નજરે તો નહી પણ કલ્પનાની સૃષ્ટિમાં પ્રત્યક્ષ થયું, હતું પહાડીઓનું ચોરાબારીતાલ અને આજનું ગાંધી સરોવર, મારા માટે તો અદમ્ય કુતૂહલનું સ્થાન !
ચોરાબારી તાલ, જેના પાણી કેદારપુરી પર ફરી વળ્યા.

    
અમે ચાર મિત્રો વાસુકીતાલની યાત્રા કરીને આવી રહ્યા હતા ત્યારે કેદારનાથની પશ્ચિમે આવેલી પર્વતમાળાના એક શિખરેથી ઉપરનું દ્રષ્ય જોયું હતું જે કેદારનાથના સામાન્ય યાત્રિક માટે તો દુર્લભ ગણાય. ભાગ્યે જ કોઈ યાત્રી એ બાજુ જતા હશે. ત્યાં પહોચવા માટે પહાડોનો અનુભવ
, પર્વતચઢાણનો મહાવરો અને યોગ્ય સાધનો સહિતની પૂર્વતૈયારી જરૂરી છે. આથમણાં પર્વતોની પેલે પાર એ સ્વર્ગીય સરોવર આવેલું છે. હિમાલયનું સરોવર, કેદારનાથથી પણ સારી એવી ઊંચાઈ પર અને આજકાલના યાત્રી ધસારાથી દૂર એટલે તેના સૌંદર્ય બાબતમાં તો કહેવાપણું શું હોય ? પણ આજે એની વાત નથી કરવી કારણ કે આ લેખમાં એ પ્રસ્તુત નથી. અને કેદારનાથમાં થયેલ જળતાંડવમાં એની કોઈ ભૂમિકા પણ નથી ! કેદારપુરીનું એ દ્રષ્ય યાદ કરવાનું કારણ એટલું કે ત્યારે જે જોયું એ પૂરકાંડ પછી કેટલું બદલાયું હશે એ જાણવાની જિજ્ઞાસા મનને ચેન પડવા દેતી ન હતી, પરિણામે આ વરસે ત્યાં કેદારધામ પહોંચ્યો. પણ એ પહેલા તો જેના પાણી વિનાશના રૂપમાં કેદારધામ પર ફરી વળ્યા હતા એ ચોરાબારીતાલની પ્રથમ મુલાકાતની વાત. કેદારનાથની ઉત્તરે થોડી ઊંચાઈ પર આવેલા આ નાનકડાં સરોવરનું જુનું નામ ચોરાબારીતાલ હતું આઝાદી પછી તેને ગાંધીસરોવર નામ અપાયું. ગાંધીજીની ચિતાભસ્મ આ સરોવરમાં પધરાવવામાં આવી હતી. અલબત આજે પણ લોકજીભે તો જુનું નામ જ ચાલે છે.
કેદારનાથ 2012માં.

     વાસુકીતાલથી ઊતરી આવ્યા પછી બીજા દિવસે ભારે જિજ્ઞાસા લઇને કેદારનાથથી માત્ર ત્રણ સાડા ત્રણ કિલોમીટર ઉત્તરમાં આવેલ ચોરાબારીતાલ પહોંચ્યો. સવારનો વખત હતો ઠંડા મજાના પવને પાણી પરથી જ દોડી આવીને અભિવાદન કર્યું અને હૃદય પુલકિત થઈ ઉઠ્યું. તેના નીલા ભૂરા પાણીએ જોતજોતામાં તન મનનો કબજો લઈ લીધો. પથરાળા કિનારે પહોંચીને જળનું આચમન કરીને મે પણ એનું માહાત્મ્ય કર્યું. હિમાલયમાં અનેક દુર્ગમ પ્રદેશો ચડીને કેટલાય શિખરો અને પ્રસિદ્ધ એવા અનેક સરોવર જોયા હોવા છતાં આ નાનકડાં સરોવર સાથે એક અનન્ય નાતો હતો એવો બીજા કોઈ સાથે જોડાયો નથી. વરસો પહેલાં સત્યજીત રાયની એક રહસ્યકથામાં એક વાર આ સરોવરનો ઉલ્લેખ વાંચ્યો હતો ત્યારથી એ મારી કલ્પનાઓમાં રમતું હતું. વળી ગાંધીજીની પવિત્ર ચિતાભસ્મ પણ આ સરોવરમાં પધરાવવામાં આવી છે એ માહિતી હતી એટલે એનું મહત્વ આપોઆપ જ વધી જતું હતું. પ્રથમ દર્શનની  જે લગની લઈને ગયો હતો એ સાર્થક જ થઈ, બે જબરદસ્ત પહાડો વચ્ચે લાંબા થઈને દૂર સુધી પથરાયેલા નિર્મળ પાણીએ અપેક્ષાઓ પૂરેપૂરી સંતોષી અને મોટાઈનો ભાર એકબાજુ મૂકીને સત્યજીત રાયની પેલીકથાએ ક્યાં આકાર લીધો હશે એની તપાસ પણ કરી ! એ કથા તો લેખકની કલ્પના જ ભલેને હોય પણ સ્થળ જોયા વિના કંઈ એનું વાસ્તવિક વર્ણન લખવું શક્ય છે ? કાકાસાહેબને વાંચી વાંચીને હિમાલયનો ગાંડો શોખ લાગ્યો તો નાનપણમાં વાંચેલી વારતામાં આવતું સરોવર ખરેખર પ્રત્યક્ષ થાય ત્યારે અંતરનો ઉમળકો હાથ રહે ખરો ? આ કિનારેથી પેલા કિનારે દોડાદોડી કરી, શિલાઓ પર ચડ્યો, હિમ જેવા પાણીમાં ઘડીભર છબછબીયા પણ કરી લીધા. એકલો જ હતો એટલે મારા તરંગોને ટોકે કોણ ? આ પ્રથમ મુલાકાત વખતે વાતાવરણ ખૂબજ અનુકૂળ રહ્યું. સવારનો સુંદર વખત હતો અને સૂર્ય પૂરા તેજે પ્રકાશતો હતો. જૂન મહિનો ઘણો ખરો પસાર થઈ ગયો હોવાથી બરફ પણ ઓગળી ગયો હતો. હિમાલયમાં ઊંચાઈ પર આવેલા સરોવરમાં સામાન્ય રીતે જોવામાં આવે છે તેમ બરફની પાટો તરતી દેખાતી ન હતી. લગભગ ત્રણ કલાક સુધી સરોવર તીરે આખડીને મનથી ધરાયો પણ પેટથી ભૂખ્યો થયો ત્યારે જ પરત આવ્યો ! કેમકે સારા વાતાવરણનો લાભ લઈને કંઈ પણ લીધા વગર એકલો જ નીકળી પડ્યો હતો. મિત્રોની ઇચ્છા ન હતી. તેઓ થાક ઉતારવા કેદારપૂરીમાં જ રોકાયા હતા.
     ચોરાબારીનું બીજું અને સાવ જુદું જ સ્વરૂપ જોવા મળ્યું મારી બીજી મુલાકાત વખતે. ૨૦૧૨ના મે મહિનામાં જ્યારે એકલો જ કેદારનાથ પહોંચ્યો ત્યારે બરફની અતિશયતા જોવા જેવી હતી. પહાડો તો તળીયેથી જ બરફથી ઢંકાયેલા હતા,  નદીમાં એનાં ઢગલા દેખાતા હતા. અરે કેદારપૂરીની મુખ્ય બજારમાં જ બરફનો મસમોટો રેડો આનંદથી આડો પડ્યો હતો ! અને મકાન વચ્ચેની સાંકડી નવેળીઓ તો ખીચોખીચ ભરી હતી. એના દર્શનથી જ સમજાઈ ગયું કે ચોરાબારીનું ચઢાણ સહેલું નહી હોય. રસ્તામાં આવતા ઝરણાં બરફભર્યા જ હોવાના, અને બન્યું પણ એવું જ, બપોરે લગભગ અગિયાર વાગ્યે પ્રયાણ કર્યું ત્યારે વાતાવરણ એકદમ ઘેરાયેલું હતું અને ઝીણા ઝીણા છાંટા પડતા હતા એટલે રેઈનકોટ ચડાવીને ચાલ્યો, વરસાદની પૂરી શક્યતા હતી પણ ચોરાબારીતાલનાં દિવ્ય દર્શનની ઝંખના પણ જબરી હતી. હિમાલયની વરસોની રખડપટ્ટી અને પર્વતારોહણના અનુભવને લીધે વરસાદ કે બરફની નવાઈ ન હતી અટલે આકાશ સામું જોયા વગર જ નીકળી પડ્યો, સાથે માત્ર કેમેરો, દૂરબીન અને લાકડી જ લીધા, આ વખતે કેમેરો હતો તો અનુકૂળ વાતાવરણ ન હતું જ્યારે સાત વરસ પહેલા સરોવરના પ્રથમ દર્શન સમયે એકદમ નિર્મળ વાતાવરણ હતું  ત્યારે કેમેરો ન હતો ! પણ આવું તો હિમાલયમાં ચાલ્ચા જ કરે. પ્રત્યક્ષ આંખોથી જે નિહાળ્યું તેની છબી સ્મરણપટમાં તો અમર થયેલી જ હોય, એ પ્રાપ્તિ કંઈ જેવી તેવી નથી હોતી. 
જુનો યાત્રાપથ જે હવે નષ્ટ થયો છે.

    
ધારણા મુજબ જ રસ્તો હજુ ઘણો ખરો બરફના ઢગલાઓ નીચે દબાયેલો હતો, રસ્તો એટલે નાનકડી પગદંડી જ સમજવાની, જોકે સાત વરસમાં તેની સારી માવજત થયેલી જોવા મળી. બરફના રેડા પસાર કરતાં તો ટાઢાબોળ વાતાવરણમાં પણ પરસેવો વળી જાય એવું હતું ! ટ્રેકીંગસ્ટિકની મદદ વગર તો આ હીમનદીઓને ઓળંગવી શક્ય જ ન હતી
, બરફના ઢાળમાં જો પગ લપસ્ચો તો આ લપસણીનો છેડો ક્યાંય નીચે મંદાકિનીના પવિત્ર પટમાં પહોંચતો હતો ત્યાં આસાનીથી જઈ પહોંચાય, પણ એ પહેલા સેંકડો નાના મોટા પથરાનું સ્વાગત સ્વીકારવું પડે ! બરફ જ્યારે ઓગળતો હોય ત્યારે એનો જરાય ભરોસો કરાય નહી અને અનુભવ હોય તો જ એ ઓળંગવાનું સાહસ કરાય એ સનાતન નિયમ છે પણ જેને સરોવરવિહારની રઢ લાગી હોય અને પહાડી પાણી સદી ગયું હોય એવાને આવી પરવા શાની હોય ? આવા લગભગ પાંચેક હિમઝરણાં અને બે ત્રણ તૂટી પડેલી ભેખડો ઓળંગીને ચાર કલાકે પહાડી ધારે પહોંચ્યો. ત્રણ કિલોમીટર કાપતાં ચાર કલાક એટલે રસ્તાની હાલત કલ્પી લેવાની. ધારે ચડીને જે જોયું તે અપેક્ષિત જ હતું.  નજર પહોંચે ત્યાં સુધી જાણે ક્ષીરસાગર લહેરાતો હતો. પહાડોતો માથાથી પગ સુધી હિમ ઓઢીને બેઠાં હતાં પણ આખી ખીણ પણ માત્રને માત્ર બરફના ધવલ રંગે રંગાયેલી જોવા મળી. આમા સરોવર ક્યાં હતું ? અહીં તો માત્ર બરફનું મેદાન જ પથરાયેલું હતું. વચ્ચે થોડા ભાગમાં રાખોડી જેવા રંગનું પાણી ચળકતું દેખાયું જેના આકારનું કોઈ ઠેકાણું ન હતું. બાકી ચારેતરફ બરફ પથરાયો હતો. જો આકાશમાં સૂર્ય હોત તો આખો પરિવેશ એટલો ઝગારા મારતો હોત કે એની સામે જોવું પણ અશક્ય થઈ પડે. પણ આકાશ તો પૂરેપૂરું કાળાભમ્મર વાદળાંથી ઘેરાયું હતું,  અને પાણીની રાખોડી રંગછટા એના પરિણામે જ હતી. આખું સરોવર મધ્યભાગને બાદ કરતાં થીજેલું હતું. પાણી સુધી જવાનો તો વિચાર પણ કરાય નહી. નબળો પડેલો બરફ ક્યારે ભાંગી પડે અને ઉપરના બોજાને અંદર ગરક કરી દે એ કહેવાય નહી ! છતાં ઊંચી ધાર ઉતરીને બરફમાં ચાલ્યો,  કિનારો ક્યાં હશે અને પાણી ક્યાંથી શરૂ થતું હશે એનું તો જુના અનુભવ પરથી અનુમાન માત્ર કરવાનું હતું, અને એ જગ્યાએ પહોંચ્યા પછી એક ડગલું પણ આગળ વધવામાં મુર્ખાઈની હદ ગણાય. એપ્રિલ મહિનાથી જ આ સાવધાની રાખવી પડે, જામેલી નદીઓ કે તળાવો બહારથી અખંડ દેખાતા હોય પણ અંદરથી તો મોટાભાગે ઓગળી ગયા હોય. નક્કર કિનારાનું અનુમાન કરીને અટક્યો. સર્વત્ર નીરવ શાંતિ પથરાઈ હતી, આજે પણ મારા સીવાય કોઈ કરતા કોઈ ન હતું. સામાન્ય દિવસોમાં પણ અહીં ભાગ્યે જ કોઈ આવે પછી આવા વરસાદી દિવસમાં તો કોણ દેખાય ? વળી અહીં આવવા ઋતુ હજુ અનુકૂળ પણ ન હતી, પણ એટલે જ અહિં પ્રકૃતિનું કાવ્ય યથાર્થ અનુભવાયું !
ચોરાબારી તાલનાં કિનારેથી દેખાતી કેદારપુરી.

     ઊંચો કાંઠો ચડીને ફરીવાર ધારે પહોંચ્યો અને ચારેબાજુ પથરાયેલી દિવ્ય સૃષ્ટિને ધરાઈને જોઈ. નીચે દૂર દૂર કેદારપુરી રમકડા જેવી દેખાતી હતી. ચારે તરફ મકાનો અને બાંધકામથી મંદિર ઘેરાય ગયેલું જોવા મળતું હતું. કેદારપુરીનું આ વિહંગાવલોકન કંઈ પહેલીવારનું ન હતું; વાસુકીતાલથી પરત આવતા, ચોરાબારીની પહેલી મુલાકાત વેળા અને ભૈરવઘાટી ચડતા અનેકવાર આ અદ્ભૂત દેખાવ જોઈને બાળકની જેમ હરખાયો હતો. કેદારધામની ફરતે નદીની ધારાઓ જોવા મળે છે તે મંદાકિનીના જ જૂદા જૂદા ફાંટાઓ છે. કેદારપર્વત પરથી ઉતરતી ચોરાબારી હિમનદી (ગ્લેશિયર) બે ફાંટામાં વહેંચાઈ જઈ નદીની બે મુખ્ય ધારાના રૂપમાં મંદાકિનીનું સર્જન કરે છે,  હિમનદીના એક મુખનું પાણી ચોરાબારી સરોવરમાં ભેગું થઈ બીજી બાજું નીકળે છે. જ્યારે પર્વતના બીજા પડખેથી ગ્લેશિયરના બીજા મુખમાંથી નીકળતો પ્રવાહ મંદાકિનીની મુખ્ય ધારા અને મૂળ ગણાય છે. આ બન્ને પ્રવાહ કેદારનાથ નજીક જ મળી જાય છે અને ત્યાંથી જ મંદાકિની કહેવાય છે. મંદાકિની એટલે જ સ્વર્ગની ગંગા એ તો કોણ નથી જાણતું ?  ભાગીરથી, મંદાકિની અને અલકનંદાના પ્રવાહ એક થયા પછી જ ગંગા બને છે. આ ચોરાબારી સરોવર મંદાકિનીનું ઉગમસ્થાન ગણી શકાય. નદીના બન્ને મૂળ એક બીજાથી બહુ દૂર નથી. જ્યાં આ સરોવર સર્જાયું છે તે લાંબી ખીણ જ છે જેનું મુખ કુદરતી પાળાથી બંધ હોવાથી પાણીનો નિર્મળ સંગ્રહ બારે માસ જોવા મળે છે અને શિયાળા દરમિયાન પૂરેપૂરું થીજી જઈને બરફનું લાંબું પહોળું મેદાન જ બની જાય છે. એપ્રિલ મહિનાથી એનો બરફ ઓગળવાનો શરૂ થાય અને જૂન આવતા તો સાવ ઓગળી જાય. હિમાલયમાં દશ બાર હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલા તમામ સરોવરની આ ખાસિયત છે. આ સરોવરની બરાબર નીચે જ પુરાણપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ આવેલ છે. કિનારાની ધારે ઊભા રહેતા જ સમજાઈ જાય કે જો આ પાળામાં ભંગાણ પડે તો શું થાય ? પાળા પર ઊભા ઊભા મનભાવન દ્રષ્યો માણી રહ્યો હતો ત્યારે કલ્પના પણ ન હતી કે વરસ પછી બરફ નીચે સંતાયેલા આ પાણી પ્રલયનું પૂર બનીને કેદારધામ પર ફરી વળી કેર વર્તાવશે. મંદાકિની તેના માર્ગમાં ખંડિયેર પણ નહી રહેવા દે ! આકાશમાંથી બરફની પાંદડીઓ ખરવાનું ચાલું થયું અને પવનના સૂસવાટા વધ્યા પછી ગયો હતો એવી જ મહેનતે સલામત પાછો ફર્યો. કેદારપુરી પહોંચ્યો ત્યારે અંધકાર ઘેરાઈ ગયો હતો.
     ૨૦૧૩ના મે મહિનાના મધ્યમાં હિમાલય ગયો ત્યારે કેદારનાથ ગયાને હજુ વરસ થયું હોવાથી એ બાજુ જવાને બદલે ગંગા યમુનાના પ્રદેશમાં ગયો. અને દસમી જૂને ઘેર ગુજરાત પરત આવ્યો ત્યારે હિમાલયમાં ભારે વરસાદનો પ્રારંભ થઈ ગયો હોવાના સમાચાર મળવા માંડ્યા હતા. પછી તો બે ત્રણ દિવસમાં જ કેદારનાથ પર આવી પડેલી ભયંકર આફતના હૃદય હચમચાવી દેતા ખબર આવ્યા. શરૂઆતના સમાચારમાં તો વાસુકીતાલ ફાટતા કેદારમાં પૂર આવ્યાની વાત મળી ! ત્યાંની ભૂગોળ સારી રીતે જાણતો હોવાથી ખબર હતી કે વાસુકીતાલના પાણી તો ક્યારેય કેદારધામ સુધી આવી ન શકે. વચ્ચેની આભ ઊંચી મહાકાય પર્વતમાળા ભાંગી પડે તો જ એ શક્ય બને. વાસુકીતાલનાં પાણી સોનગંગાનાં રૂપમાં સોનપ્રયાગમાં મંદાકિનીને મળે છે. (ત્યાંથી જ એની ખીણમાં ટ્રેકિંગ કરીને ૨૦૦૫માં વાસુકીતાલ અને ત્યાંથી કેદારનાથ પહોંચ્યો હતો) એટલે કેદારનાથનું પૂર તો ચોરાબારીના ફાટવાથી જ આવ્યું હોય એ સમજી શકાય એવું હતું પણ આટલી બારીક માહિતી આજકાલનાં સમાચાર માધ્યમોને ન હોય એ સ્વાભાવિક છે ! વળી આવી મોટી હોનારત સમયે લોકોને એવી માહિતી જાણવા કરતા પણ ત્યાં શું થઈ રહ્યું છે એ જાણવાની ઉત્સુકતા વધારે હોય. ટીવી પર દિવસો સુધી પ્રલયકાંડનાં હૃદયદ્રાવક દ્રષ્યો જોવા મળ્યા, રમકડાની જેમ ભાંગી પડતા મકાનો, તણાતા લોકો અને કુદરત સામે ઝઝૂમતા સૈન્યના જવાનો, દિલધડક બચાવ અભિયાન દિવસો સુધી દેખાતા રહ્યા. એ જોઈને હૃદય રડી ન પડયું હોય એવો ભાગ્યે કોઈ દેશવાસી હશે. મારા જેવા હિમાલયપ્રેમીઓની મનોદશાનું વર્ણન ન થઈ શકે. હું ભાગ્યશાળી હતો કે માત્ર અઠવાડિયાનાં ફરકથી બચી ગયો હતો. પણ બીજા હજારો પીડિતોની હાલત શી થઈ હશે એ કલ્પી શકતો હતો, હિમાલયની ઊંચાઈ ઉપર જ્યારે બરફ કે વરસાદ પડે ત્યારે ભલભલા પર્વતારોહી પણ અકળાઈ જાય પછી પૂરમાં ફસાયેલાં સામાન્ય યાત્રીકોની હાડમારીની તો વાત જ શી થાય ?  ખૂદ અગાઉ આવી એક બે ઘટનાઓમાં ફસાયો હોવાથી પડતી હાડમારી બરાબર જાણું છું. નદીઓના પાણીમાં હાથ બોળતા આંગળાં ઠરી જાય એવા ઠંડા પાણી, વરસાદ અને સૂસવતો પવન , આમાં ભિંજાયેલા માણસની હાલત જ અધમૂવા જેવી થઈ જાય, પછી આમા દિવસો સુધી તરબોળ રહેનારની તો કલ્પના જ કરી કરી લેવાની.
કેદારનાથ જતો નવો માર્ગ.

     આ ઘટનાના ઘા પણ સમય વિતતા ભરાયા, યાત્રાનો પૂનઃ પ્રારંભ પણ થઈ ગયો. કેદારનાથની હાલત મેઘતાંડવ પછી કેવી હશે એ જોવાની, એની ખબર પૂછવાની જિજ્ઞાસા તો ત્યારથી જ જાગી હતી, પણ વળતાં વરસે તો અનિવાર્ય કારણે હિમાલય જ ન જઈ શક્યો. કેદારનાથનું પ્રલય પછીનું સ્વરૂપ જોવાની ઇચ્છા ત્યારે અધૂરી રહી. આખરે હમણા ૨૦૧૫ના મેના અંતમાં એ યોગ સર્જાયો. અમે ત્રણ મિત્રોએ ગંગોત્રીથી કેદારનાથ જતા પૂરાણા પગરસ્તે ચાલીને ત્યાં પહોંચવાનું નક્કી કર્યું ! આ જંગલી રસ્તો ભટવાડી, બેલક, પાંગરાણા, બુઢ્ઢા કેદાર, ત્રીજુગીનારાયણ થઇ સોનપ્રયાગમાં કેદારનાથના મુખ્ય રસ્તાને મળે છે. પુરાણી ચારધામ યાત્રા એ મારગે જ ચાલતી. ગંગોત્રીથી શ્રદ્ધાળુઓ એ માર્ગે  કેદારનાથ પહોંચતા, કાકાસાહેબ અને સ્વામી આનંદની ચોપડીઓમાં એનું વર્ણન આવે જ છે. હવે તો ભૂલાઇ ગયેલો એ રસ્તો નિર્જન અને અત્યંત જંગલી છે. આજે તો કેદારનાથની જ વાત કરવી છે. મારી સાથેના મિત્રો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવતા શ્રી ડાંગરભાઈ અને શ્રી ભાનુભાઈ હતાં. પ્રકૃતિ અને પક્ષીનિરિક્ષણનાં આશયથી મારી સાથે જોડાયા હતા. યાત્રાનો અમારો મુખ્ય હેતુ પણ પક્ષીનિરિક્ષણનો જ હતો. પણ કેદારધામ જ્યારે આટલું નજીક હોય ત્યારે ત્યાં ન જવાય તો તો જીવનભર વસવસો રહી જાય. અમારી એ સાહસયાત્રાનાં અંતિમ ચરણમાં અમે સોનપ્રયાગ પહોંચ્યા. અને કેદારદર્શનની પરવાનગી મેળવી. પહેલા તો આવું કંઈ કરવાનું રહેતું જ નહી પણ ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યા પછી સરકારી તંત્રની આંખ પણ ખૂલી ગઈ હોવાથી વ્યવસ્થામાં ઘણો સુધારો થયો છે ! અને ઊંઘતા ન ઝડપાઈ જવાય એની પૂરી તકેદારી રખાતી થઈ છે. પહેલા તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે જઈ શકતો પણ હવે રોજના માત્ર બે હજાર યાત્રીકોને જવા દેવાય છે. નામનોંધણી કરાવી, તંદુરસ્તીની તપાસ કરાવીને જ પ્રવેશ મળે. બધી તપાસ સોનપ્રયાગમાં થાય છે. પહેલા વાહનો સોનપ્રયાગથી આગળ ચાર કિલોમીટરે આવેલ ગૌરીકુંડ સુધી જતા, પણ હવે સોનપ્રયાગમાં જ અટકવું પડે છે અને દરેક વ્યક્તિની વ્યક્તિગત તપાસ થયા પછી જ આગળ જવાની મંજૂરી મળે અને ત્યાંની નિયત કરેલી જીપ મારફત ગૌરીકુંડ પહોંચી શકાય. ગૌરીકુંડથી પગપાળા અથવા ઘોડા કે ખચ્ચર પર જવું એ યાત્રીઓની મરજી પર આધાર રાખે.
નવો રસ્તો અને ત્યાં પથરાયેલો બરફ.

     અમે ત્રણે વહેલી સવારે ચાર વાગ્યામાં જ નીકળી પડયા. હું તો મારી પાંચમી કેદારયાત્રા કરી રહ્યો હતો ! મારા બન્ને સાથીઓ પહેલી જ વાર જઈ રહ્યા હતા. હોનારત પછીની બદલાયેલી ભૂગોળ અને પરિવર્તનો જોવાની સૌથી વધુ ઉત્કંઠા મને જ હોય એ સ્વાભાવિક હતું. શું જોવા મળશે ? શું રહ્યુ હશે અને શું નષ્ટ થયું હશે ? નવો રસ્તો કેવો હશે ? મંદિર તો અખંડ છે એ ખબર હતી પણ બાકીના બાંધકામની હાલત કેવી હશે ? આવા આવા પ્રશ્નો મગજમાં ઘૂમરાતા હતા. બે વરસથી આ સમયની રાહ જોતો હતો. એટલી ખાતરી પણ હતી કે આજે કુદરત ગમે તેટલું સૌંદર્ય બતાવે તો પણ પ્રસન્નતા તો મળવાની નથી જ. વિષાદનું વાદળું માથા પરથી હઠવાનું પણ નથી. જ્યાં સુધી ઘટેલી આઘાતજનક ઘટનાની યાદ ભૂંસાય ન જાય ત્યાં સુધી તો કેદારનાથનું સ્વર્ગીય સ્વરૂપ મન મૂકીને કેમ માણી શકાય ?  ગૌરીકૂંડ ગામ વચ્ચેથી જતો રસ્તો તો તૂટી પડ્યો હોવાથી હવે ઉપરથી બીજો રસ્તો કાઢયો છે, ત્યાંથી ચાલ્યા. ગૌરીકુંડમાં ઘણીવાર રોકાણ કર્યું હોવાથી અને તપ્તકુંડનાં ગરમ ગરમ પાણીમાં અનેકવાર થાક ઉતાર્યો હોવાથી એ બધાનું શું થયું હશે એ જાણવાનું કુતૂહલ તો જાગ્યું પણ સવારના અંધારામાં એની શોધ કરવા જવાય તેમ ન હતું. ગામ વટાવતા જ જૂનો મારગ આવ્યો. અહિં કોઈ નુકશાન તો ન દેખાયું પણ એક પ્રકારની નીરવતા વ્યાપેલી જોવા મળી જે પહેલા અનુભવવી અશક્ય હતી. પહેલા આ જગ્યાએ ખચ્ચરો અને ઘોડાઓનો મેળો જામેલો જોવા મળતો ! રાતભરનાં એમના મળમૂત્રથી લથબથ લગભગ અરધો કિલોમીટરનો રસ્તો વટાવતા, મારગ કાઢતા તો પદયાત્રીઓને જીવ ગળે આવી જતો. ક્યાં પુરાણી કાવ્યમય યાત્રા અને ક્યાં આ ગધેડાના મેળા જેવું દ્રષ્ય. પ્રકૃતિનો ખો વાળવામાં આપણો જોટો ન જડે. છતાં આજે લાગ્યું કે ખાવા ધાતી નિર્જનતા કરતા એ દ્રષ્ય વધારે જીવંત હતું ! ગૌરીકુંડથી આગળ લગભગ ચાર કિલોમીટરના માર્ગમાં તો પૂરકાંડનો ખ્યાલ પણ ન આવે. માત્ર પહાડીપ્રદેશને ઓળખતી આંખો જ સમજી શકે કે નીચે વહેતી મંદાકિનીનો સામો કાંઠો ક્યાંય ક્યાંય ઉતરડાય ગયો દેખાય છે. ભૂસ્ખલનની નિશાની જેવા માટીનાં ટેકરાઓ જ્યાંને ત્યાં પડેલાં છે. મંદાકિનીના મરણીયા થયેલા પાણી કેટલી જબરી ઊંચાઈએ પહોંચ્યા હશે એનું અનુમાન કરવું અઘરું ન હતું. પણ અહીં રસ્તો નદીથી સારીપેઠે ઊંચો હોવાથી સલામત હતો. અહીં ફસાયેલા શ્રદ્ધાળુંઓ ચોક્કસ બચી ગયા હશે. પણ એમની માનસિક હાલત કેવી હશે ? જુના જમાનાનો ખડતલ યાત્રી હોય તો તો વાત જ જૂદી પણ અહીં તો આજકાલનાં આધુનિક પ્રવાસી જ હશે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખેઆખા પરિવાર ફસાયા હશે, મોટાભાગનાં સાવ પરાધિન અને નિરાધાર જ હોવાના. પણ કુદરતના કોપ સામે કોઈ શું કરી શકે ? યુવાનોએ અને કેટલાક દ્રઢ મનોબળવાળાઓએ તો મદદ આવે ત્યાં સુધી બધાની હિંમત ટકાવી રાખવાના ભરપૂર પ્રયાસ કર્યા જ હશે. અને આનાથી  વિશેષ તો આ દુર્ગમ પહાડમાં બીજું  થઈ પણ  શું શકે ?
જુના રસ્તાનાં અવશેષ, ભુસ્ખલનની ભયંકરતા.

     સલામત જણાતો પુરાણો રસ્તો લાંબે સુધી સલામત ન રહ્યો. ભીમબલીનાં સ્થાન નજીક એટલે કે ગૌરીકુંડથી આશરે ચારેક કિલોમીટર દૂર જતા તો આખો રસ્તો ઊપડીને નદીને સામે પાર પહોંચી ગયો ! એક નાનકડાં પૂલ પરથી નદી ઓળંગી અમે સામે પાર પહોંચ્યા. પહેલા તો છેક કેદારનાથ પહોંચીને જ નદી ઓળંગવાની રહેતી પણ રસ્તાની આખી ભૂગોળ પલટી જવાથી આટલે દૂરથી જ નદી ઓળંગવી પડી, અને વિનાશના ખરેખરા દ્રષ્યો અહીંથી જ દેખાવા ચાલુ થયા. સામે પાર રામવાડા ચટ્ટીની જગ્યા આવી પણ ક્યાં હતું રામવાડા ? રામવાડા ગામનું એક ખંડિયેર પણ જોવામાં ન આવ્યું ! સંપૂર્ણ વિનાશ ! આ બાજુનાં કાંઠે પતરાના કેટલાંક છાપરાં અને તંબુઓ ઉભા કરીને રામવાડાનું નામ આપવામાં આવ્યું હતું. બાકી રામવાડા ચટ્ટી તો હવે સાવ નામશેષ ! ખોવાઈ ગયેલ નગરીઓની વાતો અને વારતાઓ નાનપણમાં ખૂબ વાંચી હતી પણ નજર સામે જ એક નગરી ખોવાઇ જશે એવી કલ્પના પણ ન હતી. આ વસ્તીને તો હવે કોઈ શોધી શકે એમ પણ નથી ! રામવાડા ક્યાં હતું એનું ચોક્કસ ઠેકાણું પણ આજે શોઘી શકાય તેમ નથી. દુકાનો, ધાબા, ભોજનાલયો, મંદિર અને ધર્મશાળાઓ કંઈ જ બાકી રહ્યું નથી. યાત્રિક અને ઘોડાઓનો મોટો વિસામો અહીં હતો. રાત્રીરોકાણની વ્યવસ્થા પણ હતી. અહીંથી પસાર થતા દરેક ઘોડા-ખચ્ચરને અહીં ખાણ ગોળ ખવરાવવાનો જૂનો રિવાજ સચવાયો હતો. યાત્રાના દિવસોમાં અહિંનું વાતાવરણ રાત દિવસ ધમધમતું જોવા મળતું. પણ આજે તો બધું જ પૂરના પાણીમાં વહી ગયેલું જોવા મળ્યું. અંતરમાં એક સ્તબ્ધતા ઘેરી વળી.  જૂનો રસ્તો તો પૂરેપૂરો ધોવાઈ ગયો જોવા મળ્યો, ક્યાંય ક્યાંય અવશેષોનાં ટૂકડાં પહાડને વળગેલાં જોવા મળતા હતા, જાણે જીવન બચાવવાનો અંતિમ સંઘર્ષ કરી રહ્યા ન હોય ! બાકી તો તૂટી પડેલા પહાડનું ઉઘાડું પડેલું રૂપ જ દેખાતું હતું. રામવાડાથી મોટા ભાગનો રસ્તો ભૂસ્ખલન ભેગો અદ્રષ્ય થઈ ગયો છે. અનેક વાર એ રસ્તે ચાલ્યો હોવાથી આંખો તો ત્યાં કોઈ જાણીતી નિશાની શોધતી હતી  પણ જ્યાં કંઈ જ રહ્યું ન હોય ત્યાં પરિચિત એવું શું દેખાય ?  જે નવા રસ્તે ચાલી રહ્યો હતો ત્યાં અગાઉ એક વાર રખડવા આવ્યો હતો,  કેટલાક વનસ્પતિપ્રેમી મિત્રો સાથે કેદારનાથથી આ બાજુ એટલે કે મંદાકિનીની પૂર્વ બાજુના આ ઢોળાવો પર તંબુમાં બે દિવસ વિતાવ્યા હતા, પણ ત્યારે વિચાર્યું પણ ન હતું કે સામે પાર વહેતો યાત્રિકોનો પ્રવાહ એક દિવસ અહિંથી ચાલવાનો છે ! પુરાણો એ માર્ગ પૂનર્જિવિત થાય એવી કોઈ શક્યતા અત્યારે તો દેખાતી નથી. નદીના કિનારે ચાલનારને હમેશાં સામા કાંઠાનું આકર્ષણ હોય જ પણ જ્યારે એ કુતૂહલ શાંત થવાનો સમય આવે ત્યારે પોતાના જૂના કાંઠાનો વિરહ મનમાં જોર કરવા માંડે છે ! માનવજીવનની આ ખાસિયત જીવનના દરેક વંળાકે દેખાય છે. બાકી એ કિનારે કરેલી યાત્રાના હવે તો સ્મરણ જ બાકી રહ્યા.
     સાથે ચાલનાર યાત્રિકો તો કેદારપ્રભુનાં દર્શનની આતુરતામાં ઉત્સાહથી ચાલતા જોવા મળતા હતા પણ મારા જેવા ઘણાના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું જ હશે. નવો રસ્તો જૂના રસ્તા કરતાં કઠણ ચડાઈ વાળો તો છે જ એની અસર દરેકના ચહેરા પર દેખાતી હતી. કેટલું પરિવર્તન થઈ ગયું છે રસ્તામાં. ગિરદીનું નામ નથી, ઘોડાઓની ભીડ નથી, ઝંપાન તો જોવા પણ મળતી નથી, કદાચ એના પર પ્રતિબંધ આવી ગયો હશે. પગપાળા યાત્રીકોને એનો ભારે ત્રાસ હતો. કંડી ક્યાંય ક્યાંય જોવા મળતી હતી, મોટાભાગે નાના બાળકોની સવારી એમાં જોવા મળે. આ એક જ વાહન એવું કે એનાથી કોઈને અડચણ પડતી નથી અને હિમાલયની પ્રકૃતિ સાથે એના જેવી એકરૂપતા બીજું કોઈ વાહન સાધી શકતું નથી, જૂના વખતથી જ એનું માહાત્મ્ય ચાલતું આવે છે. જો કે હવે એ ઉપાડવાવાળા ખડતલ મજૂરો ઓછા થયા છે અને એમાં બાળકો અને સામાન શીવાય કોઈ બેસતું પણ નથી. પણ એનો એક જમાનો હતો. રસ્તામાં ગિરદીનું તો નામ ન હતું અગાઉ આવી ગયેલાને તો ખાલી ખાલી લાગે એવો પરિવેશ હતો. કેદારપર્વતનું સાંનિધ્ય તો સતત સાથે જ હતું. બરફના મોટા મોટા રેડા રસ્તામાં આવતા રહેતા હતા, કોઈમાં ઉપર થઈને તો કોઈને કાપીને ચાલવાની જગ્યા કરી હતી મે મહિનાનાં અંતે પણ આ બરફરેડાઓને ઓગળવાની કંઈ ઉતાવળ ન હતી પછી ચોરાબારી કે વાસુકીતાલનાં રસ્તાની તો કલ્પના જ કરી લેવાની. ચારે બાજુ મહાદેવનાં ગણની જેમ બેઠેલાં પહાડો તો આખેઆખા બરફાચ્છાદિત હતાં. અને બારેમાસ જેનો બરફ ક્યારેય માઝા મૂકતો નથી એવા સુમેરુની ટોચ તો વાદળોના ઝમેલામાં ઢંકાઈ હોવાથી માત્ર મનની આંખે જ જોવાની હતી. આવા દેવતાઈ દ્રષ્યો વચ્ચે જ્યારે કેદારપૂરીનાં દર્શન થાય ત્યારે હૃદયનાં ભાવો સ્થિર રહી શકે ખરા ? વિનાશના વિષાદભર્યા વિચારો વચ્ચે પણ કેદારપ્રભુને દ્વારે પહોંચતા ધરપતની એક લાગણી અનુભવાઈ અને અમારા માથા નમી રહ્યા.
હોનારત પછીની કેદારપુરી

     કેદારઘામ પહોંચીને શું જોયું ?  વિનાશના બે વરસ બાદ પણ નિશાનીઓ એવીને એવી જ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં ધસી પડેલા મકાનો, ખંડિયેરો પથરાયા હતા. જ્યાં પહેલા બજાર ધમધમતી હતી ત્યાં પથરાં અને માટીનાં ઢગલા ખડકાયેલાં દેખાયા, ભાંગી પડેલા અને રેતી પથરામાં અરધા પરધા દટાયેલાં મકાનો જોતા જ મનમાં કંઈ કંઈ થઈ ગયું. જો અસંખ્ય યાત્રીકોની હાજરી ન હોત તો એમ જ લાગત કે કોઈ ખોદી કઢાયેલી પુરાણી વસ્તીના ખંડિયેરોમાં ફરી રહ્યા છીએ, જાણે ટ્રોય કે પોમ્પેઈ અથવા આપણું વિજયનગર ! પણ ના, અહીં એવી અકળાવનારી નિર્જનતા ન હતી, અહીં તો આટલા ખંડિયેરો વચ્ચે પણ એક દિવ્ય જીવંતતા પ્રવર્તતી અનુભવાતી હતી, સામે જ કેદારપ્રભૂનું નિજમંદિર ઉન્નત મસ્તકે અખંડિત ઊભું હતું તેનું પાવનકારી દર્શન જ તમામ ઉદ્વેગ શમાવી દેવા પૂરતું હતું. કેદારનાથ પહોંચી ગયાનો ઉલ્લાસ દરેકના ચહેરા પર દેખાતો હતો.
શ્રદ્ધાનો અખંડ પ્રવાહ આજે પણ એવોને એવો જ.
અહિં કોઈને વીતી ગયેલા વીતકની પરવા ન હતી કે જરાય સરખો ડર પણ ન હતો. યાત્રીકોમાં તમામ વર્ગ હાજર હતો
, બાળકો, યુવાનો અને વૃદ્ધો દરેકને મહાદેવનાં દર્શનની સરખી જ લગની લાગી હતી. અને દર્શન કરીને બહાર આવતા શ્રદ્ધાળુઓનો આનંદ તો આપણને પણ તૃપ્ત કરી દે એવો હતો. ભાવસભર થઈ અમે પણ દર્શન કર્યા અને બહાર નિકળીને બરફવર્ષાનાં રૂપમાં મહાદેવનાં આશીર્વાદ પણ ઝીલ્યા. આશીર્વાદ જ કેમકે બરફ અને વરસાદનું ઝાપટું આવીને ઘડીભરમાં તો વિદાય પણ થઈ ગયું ! અલબત પાછા વળતા લગભગ આખા રસ્તે વરસાદી સ્નેહ વરસતો રહ્યો હતો. કેદારનાથ નું મંદિર અખંડ રહ્યું છે પણ મંદિર પાછળના તમામ મકાનો, બાંધકામ ધોવાઈ ગયા છે. મંદાકિનીના પટની બન્ને બાજું ખડકાય ગયેલા બાંધકામનું નામ પણ રહ્યું નથી. સબ ભૂમિ ગોપાલકી ની જેમ આપણા શહેરોની જેમ અહીં પણ આડેધડ બાંધકામ ખડકાયા હતા. જે કામ માણસે કરવાની જરૂર હતી એ આખરે શિવજીના કોપે કર્યું. દવા ભારે કડવી હતી એ સાચું પણ હવે જ્યારે પરિણામ નજર સામે છે ત્યારે માણસજાત આમાથી કંઈ ધડો લે એવી આશા રાખીએ.
દેવાધિદેવનાં ચરણે.

     દર્શન કરીને અમે પાછા ફર્યા, કેદારપૂરીમાં તો હવે કોઈને રહેવા દેવામાં નથી આવતા. રાતવાસા માટે ઊંચાણના મેદાનમાં બેઝકેમ્પ ઊભો કરાયો છે ત્યાં તંબુ કે કોટેજમાં સરકારી સસ્તા ભાવે રહી શકાય છે, ખાવાપીવા માટે પણ સરકારી વ્યવસ્થા કરાઈ છે અને અત્યારે તો ઉત્તમ કામગીરી જોવા મળે છે. પાછા વળ્યા ત્યારે આકાશ ઘેરાઈ ગયું હતું. પશ્ચિમના પહાડો પાછળ વાસુકીતાલ લહેરાતું હું કલ્પનાની આંખે જોઈ રહ્યો. એક પગદંડી ઉત્તરના પહાડ ભણી ચડતી જોઈ શકાતી હતી, એટલે ઊંચે પૂરના પાણી નહી પહોંચ્યા હોય. શી  હાલત હશે ચોરાબારીતાલની ? તેની પ્રકૃતિ બદલાઈ હશે ? પ્રલય વરસાવવાનો અફસોસ કે ક્ષોભ એના પાણીને થતો હશે ખરો ?  એની ખબર તો પ્રત્યક્ષ નિહાળ્યા પછી જ પડે.
-હસમુખ જોષી.


Comments

  1. હસમુખભાઈ શું કહું? એકદમ ભાવભીનું અને તાદ્રશ્ય આલેખન����������️��

    ReplyDelete
  2. આભાર મહેશભાઈ, હિમાલય પ્રત્યે લગાવ એવો છે કે ત્યાં આવતી આપદા વિષે સાંભળું ત્યારે પણ ઉદાસ થઈ જવાય છે.

    ReplyDelete
  3. મને પણ હિમાલય નો નાનપણ થી લગાવ છે પણ હું તમારા જેટલો ભાગ્યશાળી નથી પણ હિમાલય નું આકર્ષણ એટલું જઅદમ્ય છે જે તમારા જેવા અનુભવી સાહસિકો ના લખાણો ધ્વારા વાંચી ને સંતોષ માણીએ

    ReplyDelete

  4. અદ્દભુત અને મંદાકિની જેવું પ્રવાહશીલ લખાણ, ખુબ, ખૂબ જ ગમ્યું

    ReplyDelete
  5. ખૂબ સરસ વર્ણન.2018 માં યાત્રા કરી હતી તેનું સ્મરણ તાજું થઈ ગયું.

    ReplyDelete
  6. કેદારનાથ જવાની બહુ ઈચ્છા હોવાથી પહેલા પણ ઘણા લાખનો વાંચેલા અને youtube માં વિડિઓ પણ જોયેલા. પરંતુ તમારા લખાણની માજા જ કંઈક અલગ છે. નથી કુદરતી હોનારત પહેલા ગયેલો કે નથી પાછળથી પરંતુ જાણે બધું નજર સામે જોતો હોમ એ અનુભવ્યું. માહિતી સાથે સાથે તમારા મન ના વિચારો મુક્યા એ વધુ ગમ્યું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પંચકેદાર

હિમાલયની એક રાત !

ગંગોત્રી પદયાત્રા