ગંગોત્રી પદયાત્રા
થોડા સમય પહેલા અમે બે મિત્રોએ
ઉત્તરકાશીથી ગંગોત્રી અને ત્યાંથી કેદારનાથની પગદંડીએ પદયાત્રા કરી હતી અને એ વિશે
ટૂંક વિવરણ મારી ફેસબુક વોલ પર આપ્યું હતું, એ લેખોને સુધારા વધારા સાથે સંકલિત
કરીને અહીં મૂકી રહ્યો છું.
પ્રવાસ
હું વારંવાર હિમાલયનાં પ્રવાસો કરતો હોઉં
છું એટલે કેટલાય મિત્રો પ્રશ્ન કરે છે કે, આ ઘડી ઘડી પ્રવાસ શા માટે ? આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી, જેને પ્રવાસનો રંગ લાગ્યો છે એ જ તેનું મહત્વ
સમજી શકે. સામાન્ય રીતે મોટાભાગનાં લોકોને પ્રવાસ ગમતો જ હોય છે. એટલે જ પ્રવાસવર્ણન
વાંચવા પણ ગમે છે. રજાનાં દિવસોમાં ઘર બહાર નીકળી પડવા માટે મન તલપાપડ હોય છે. સહેતુક
પ્રવાસ સાર્થક જ હોય છે પણ હેતુવિહીન રઝળપાટનો કોઈ અર્થ સરતો નથી.
જે પ્રવાસ તમારા
મનને આનંદથી તરબતર કરી દે, વિવિધ અનુભવનું
ભાતું બંધાવે, હૃદયને
સાત્વિકતાનો અહેસાસ કરાવે. જ્ઞાનની સમૃદ્ધિ વધારે અને જેનું સ્મરણ પણ તમને અનોખી
દુનિયામાં લઈ જાય એ જ સાચો પ્રવાસ !
![]() |
હિમાલયનો આનંદ |
પ્રવાસનો સાચો આનંદ મેળવવા માટે કોઈ એક શોખ
કેળવવો જરૂરી છે. પ્રકૃતિ દર્શન કરવાનાં પણ અનેક રસ્તાઓ છે. એકાદ પહાડી પગદંડી
પકડીને તમે ચાલતા હો ત્યારે આસપાસ અવર્ણનીય એવા દૃષ્યોની હારમાળા સર્જાઈ હોય છે.
નજરમાં જો એક સાચો જિજ્ઞાસુ બેઠો હશે તો ઝાડ પાન, ઘાસ, પંખી, જંતુ કે પથરા પણ
તમારા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, પહાડો પર દોડતા વાદળાં પણ તમને અચંબિત કરી મૂકશે, પછી નદી ઝરણાનાં સંગીત કે વનમાંથી વહેતા વાયુએ
જગાવેલા ગુંજનની શી વાત ? આ બધું માણવા
માટે પ્રકૃતિ સાથે એકરૂપ થવાની જ જરૂર હોય છે. બસ હૃદયમાં બેઠેલો એક કલાકાર જાગી
જાય એટલે બધું આપોઆપ થશે !
![]() |
પર્વતો પર સૂર્યોદય |
આ વેળાનાં પ્રવાસમાં હું અને મારા મિત્ર
હસમુખ ક્યાડા અમે બે જ હતાં. અમે લગભગ પચીસ દિવસ સુધી હિમાલયનાં દિવ્ય સાંનિધ્યમાં
રખડ્યાં, મોટાભાગની
મુસાફરી પગપાળા જ પાર પાડી. કોઈ પણ પ્રદેશની વિશેષતાઓ સમજવા માટે ત્યાં પગે ચાલીને
ફરવું જરૂરી હોય છે. આ વેળા ગંગા અને તેના કિનારાનો પ્રદેશ આવરી લીધો, તેનું કારણ પણ હું આગળ લખીશ. વિવિધ અનુભવો થયા,
કેટલાક રમૂજી, કેટલાક વિચારપ્રેરક, કેટલાક કસોટી કરે એવા તો કેટલાક રહસ્યમય ! આ
બધુ ટૂકમાં આપની સેવામાં રજૂ કરી રહ્યો છું.
![]() |
પગદંડીનો મારગ |
![]() |
નયનરમ્ય પ્રકૃતિ |
પૂર્વભૂમિકા.
અમારા આ ગંગોત્રી
પ્રવાસને બરાબર સમજવા માટે થોડી પૂર્વભૂમિકા જરૂરી છે. પ્રવાસનાં અનુસંધાનમાં
ટૂંકી પ્રસ્તાવના જોઈએ.
![]() |
ચોખંભા પર્વત, ગંગાનું ઉદ્ભવ સ્થાન |
વરસો પહેલા...યુવાનીનાં દિવસોમાં ટ્રેનિંગ
લઈને પર્વતારોહી બન્યો અને અમારી ટીમનું પહેલું લક્ષ્યાંક હતું ભગીરથ એટલે કે
ગંગોત્રી રેન્જનાં શિખરો... ગંગોત્રી, ગોમુખ, નંદનવન ગંગોત્રી
ગ્લેશિયર વગેરે પાર કરીને આગળ વધ્યાં પણ બરફનાં ભયંકર તોફાનને લીધે મુખ્ય શિખરનું
આરોહણ કરવામાં નિષ્ફળતા મળી.... પછીનાં એક અભિયાનમાં ચોખંભાની તળેટીમાં ગંગોત્રી
ગ્લેશિયર ઉપર આરોહણ કરવાનું થયું... પર્વતારોહી સાથે સાહિત્યનો જીવ છું, સાથે
કુદરતનો ગાંડો પ્રેમી એટલે ગંગાનાં એ અસલ મૂળ સુધી પહોંચ્યાનો કાવ્યમય આનંદ અનુભવી
શકતો હતો.... ત્યારથી જ ગંગા સાથે સ્નેહનાં સંબંધોનો પ્રારંભ થયો... આપણા
મિત્રોમાંથી જે લોકો ગંગોત્રી અને ગોમુખ સુધી ગયા હશે તેઓને કદાચ ખબર હશે કે ગોમુખ
સામે ઊભા રહેતા જ પૂર્વમાં જે વિરાટ પર્વત દેખાય છે તે ભગીરથ છે. જ્યારે ચોખંભાને
જોવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે.
![]() |
ભગીરથ (ગંગોત્રી)નાં શિખરો |
વધુ કેટલાક વરસો પસાર થયા... મનમાં એક ધૂન
લાગી હતી કે ક્યારેક તો પુરાણી યાત્રાકેડીએ ચાલીને ગંગાનાં કિનારે કિનારે યાત્રા
કરીને તેનું ખરેખરું પહાડી સ્વરૂપ માણવું ! એકવાર નિશ્ચય કરીને હરિદ્વારથી નીકળી
પડ્યો અને પગદંડીનાં રસ્તે દેવપ્રયાગ પહોંચ્યો. તે વખતે નોકરી ધંધાને કારણે વધારે
સમય તો આપી શકું તેમ ન હતો એટલે ત્યાં યાત્રા અટકાવી. બીજા એક પ્રવાસમાં દેવપ્રયાગથી
ટીહરી સુધી ચાલ્યો. એ વખતે અરધું ટીહરી ડેમમાં ડૂબી ગયું હતું અને કિનારાનાં
ગામડાંઓ ખાલી થઈ રહ્યાં હતા. વધુ એક યાત્રામાં ટીહરીથી ઉત્તરકાશી સુધી ચાલ્યો. આ
બધી યાત્રા દરમિયાન બીજા અભિયાનો પણ ચાલતા જ હતા. ગંગોત્રી અને મારા પ્રિય એવા
ગોમુખ તપોવનની મુલાકાતો ચાલું જ હતી. હિમાચલ અને કાશ્મીરના પ્રવાસો, નેપાળ, સિક્કિમની મુલાકાતો. ટૂંકમાં જ્યાં હિમાલય પથરાયો છે એ બધું જ મારા માટે
આકર્ષણરૂપ હતું. જાણે હિમાલય જ મારા માટે સર્વસ્વ હતો.
![]() |
ગોમુખ |
ગંગાનું ખરેખરું સ્વર્ગીય કહો, દુર્ગમ કહો કે રમ્ય કહો, એવું અજોડ સૌંદર્ય તો ઉત્તરકાશીથી ગંગોત્રી
વચ્ચે જોવા મળે છે. મહાકાય પહાડોની દુર્ગમ કરાડો વચ્ચે ઊંડી ઊંડી ખીણોમાંથી ગંગા
વહે છે. ચીડ, બાંઝ, દેવદાર જેવા ભવ્ય વૃક્ષોનાં જંગલો ત્યાં પથરાયા
છે ત્યાં આવેલા સ્થાનોની છૂટક મુલાકાતો તો થતી જ રહેતી હતી પણ સળંગ પ્રવાસ તો બાકી
જ રહ્યો હતો. અને એ પૂર્ણ કરવા માટે આ વખતે નિશ્ચય કર્યો અને એ સંકલ્પ હવે પૂરો
થયો...! હું રહ્યો પ્રકૃતિભક્ત અને પર્યાવરણને પ્રેમ કરનારો એટલે લેખોમાં એ વાત જ
મુખ્ય રહેશે. ગંગા એ આપણી મહાન સંસ્કૃતિને જન્મ આપનાર અને પોષણ કરનાર માતા છે. જે
વ્યક્તિ સંસ્કૃતિનું મહત્વ સમજે છે તે ક્યારેય નાત જાત, સંપ્રદાય કે ધર્મનાં બંધનોને ગણકારતો નથી,
આ આપણી સૌની સહિયારી
સંસ્કૃતિ છે અને તેનું ગૌરવ દરેક ભારતીયનાં હૈયે હોવું જ જોઈએ....
આ ટૂંકી પ્રસ્તાવના પછી આપ મારી આ વખતની યાત્રાને
અને દૃષ્ટિકોણને બરાબર સમજી શકશો એવો વિશ્વાસ છે.
પદયાત્રાનો પ્રારંભ.
અમે ઉત્તરકાશીથી ગંગોત્રી સુધી ગંગાનાં
કિનારે કિનારે યાત્રા કરવાનું નક્કી કર્યું ત્યારે ધ્યેય સ્પષ્ટ જ હતું કે શક્ય
હોય ત્યાં સુધી પગદંડીનાં પુરાણાં મારગે જ ચાલવું. ઉત્તરકાશીથી ગંગોત્રીનું અંતર
આશરે સો કિલોમિટર જેટલું છે, પણ આપણા મેદાની
પ્રદેશ અને હિમાલયનાં પહાડી પ્રદેશની સરખામણી ન થઈ શકે, આપણે ત્યાં જે અંતર આપણે એક દિવસમાં કાપી નાખીએ
તેને માટે હિમાલયમાં ક્યારેક પાંચ દિવસ આપવા પડે ! આ માટે પગદંડીઓ હજુ જીવે છે અને
કેટલીય જગ્યાએ તે વિલાઈ પણ ગઈ છે,
![]() |
પહાડ ચડતી પગદંડી |
આપણા ગામડાનાં મિત્રોને એક સવાલ કરું....
આપના ગામમાંથી બીજા ગામ જવાની પગદંડીઓ કેટલી છે ? કેટલી હતી અને
હવે કેટલી બાકી રહી છે ? ગામડે ગામડે વાહનવ્યવહારનાં રસ્તાઓ પહોંચી ગયા
પછી કેટલીય કેડીઓ હવે ભુલાઈ ગઈ હશે, કેટલીયને ખેતરો અને વગડો ગળી ગયો હશે તો કેટલીય પોતાનો અંતિમ સમય ગણી રહી હશે.
મારા ધારી નજીકનાં ગામમાંથી જુદી જુદી દિશાઓમાં સાત જેટલી કેડીઓ વાંકી ચૂંકી જઈ
રહી છે અને તે જોતજોતામાં બીજા ગામમાં પહોંચાડી દે છે. તેમાં કેટલીય આજે વીસરાઈ ગઈ
છે. ખેતર જવા માટે જ તેનો ઉપયોગ હવે રહ્યો છે, બાકી ગામતરે જવા માટે તો બધા પાકા રસ્તાનો જ
ઉપયોગ કરે છે. ચાલનારા પણ હવે રહ્યાં નથી. હવે તો મારા જેવા જિજ્ઞાસુ મોજ ખાતર એવી
કેડી પકડીને ત્યાં ચાલે છે એટલું જ. આહા..! પ્રકૃતિદર્શનનો કેટલો અવર્ણનીય આનંદ
ત્યાં પથરાયો હોય છે ! ક્યાંય ખેતરોની ઊંચી ઊંચી વાડો વચ્ચે જાણે બોગદામાં ચાલતાં
હોઈએ તેમ લાગે તો ક્યાંય ખૂલ્લો વગડો દેખાય. રસ્તામાં નદી, નાળા કે વોકળાઓ આવે, વડ પીપળાનાં વિસામા આવે,
ક્યાંય ટેકરી પર ખોડિયાર માતાનું કે શીતળા માતાનું સ્થાનક આવે, એમ થાય કે બસ ચાલતા
જ રહીએ ચાલતા જ રહીએ, કુદરતનું ખરેખરું
સાંનિધ્ય અહીં ન અનુભવી શકે તે માણસને લાગણી શૂન્ય જ માનવો પડે, પણ અફસોસ કે આપણે
દિવસે દિવસે કુદરતથી દૂર થઈ રહ્યાં છીએ.
![]() |
ગંગાનું મનભાવન સ્વરૂપ |
મિત્રો આ જ રીતે હિમાલયનાં દુર્ગમ પહાડોમાં
પણ એક ગામથી બીજા ગામ જવાની પગદંડીઓ પથરાઈને પડી છે, ફરક એટલો કે આપણે ત્યાં સડકો પહોંચી ગઈ છે
જ્યારે હિમાલયમાં હજુ એ પહોંચી નથી એટલે આવી કેડીઓ હજુ જીવંત છે... આપણા કરતા
હિમાલયની વાત ન્યારી છે, ક્યારેક સડક
મારગે જે અંતર દસ પંદર કિલોમિટર જેટલું હોય તે પગરસ્તે માંડ ત્રણ ચાર કિલોમિટર થાય
! કારણ કે વાહન રસ્તાને પહાડની પરિક્રમા કરીને જવું પડે જ્યારે પગદંડી તો તાબડતોડ
ઉપર કે નીચે પહોચાડી દે. અલબત્ત પહાડી લોકોને મન સામાન્ય એવી આ પગદંડીઓ આપણા
જેવાને ભારે કઠણ લાગે એ સ્વાભાવિક છે.
હિમાલયમાં આપણે ત્યાંની જેમ સપાટ જમીન તો
ભાગ્યે જોવા મળે એટલે કોઈ પણ કેડી કાં તો સતત ઉપર ચડતી હોય અથવા નીચે ઊતરતી હોય,
તેની પહોળાઈ તો માંડ એક
વ્યક્તિ ચાલે એટલી હોય. આમાં પીઠ પાછળ બોજ લઈને ચાલવું એ કસોટી કરે એવું કામ લાગે
પણ ચો તરફ પથરાયેલું સ્વર્ગ સમાન સૌંદર્ય તો શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું હોય.
ઊંડી ઊંડી ખીણો અને તેમાં વહેતી નદીઓ, બારે માસ બરફ ઓઢીને બેઠેલા મહાન પર્વતો, અને તેની સાથે હરીફાઈ કરવી હોય તેમ
ઊંચા ઊંચા વધેલા વિરાટ વૃક્ષો, સવાર સાંજનાં એ અલૌકિક દૃષ્યો, કોઈ પણ કુદરતપ્રેમી અહીં
આનંદથી પાગલ થઈ જાય તેમાં નવાઈ શી ?
![]() |
પહાડી ઝરણુ |
ઉત્તરકાશી.
જે પ્રદેશનો પ્રવાસ આપણે ખેડતા હોઈએ તેના
વિશે વધારે નહી તો થોડી ઘણી માહિતી પણ આપણી પાસે હોવી જરૂરી છે, જો સાવ નહી હોય તો પ્રવાસની ખરી મજા જ મારી
જાય.
અમારા પ્રવાસનું આરંભ બિંદુ ઉત્તરકાશી શહેર
હતું. મોટાભાગનાં લોકો આ શહેર વિશે જાણતા જ હશે. ગંગોત્રીનાં માર્ગે ઋષિકેશ પછી
સૌથી મહત્વનું અને મોટું શહેર આ ઉત્તરકાશી જ છે. જિલ્લાનું મથક છે અને ગંગોત્રી
અને યમુનોત્રી બન્ને પવિત્ર ધામ આ જિલ્લામાં જ આવેલા છે. આજે તો ઉત્તરકાશી ઘણું
વિકસી ગયું છે, પણ જગ્યાનાં
અભાવે મેદાનનાં શહેરોની જેમ ચારે દિશાએ વધવાને બદલે ગંગાનાં કિનારે કિનારે લાંબું
લાંબું વધી રહ્યું છે ! ચારે તરફ મોટા મોટા પહાડો તેને ઘેરીને ઊભા છે. થોડા થોડા
વરસે ભૂસ્ખલનમાં ઘણી ખાનાખરાબી પણ થતી રહે છે. હજુ 2013માં જ કેદારનાથ હોનારત વેળા અહીં પણ ગંગા
ગાંડીતૂર થઈ હતી અને ભારે નુકશાન થયું હતું.
![]() |
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, ઉત્તરકાશી |
થોડો ટૂંક પરિચય કરીએ, હું અહીં લાંબો સમય રહ્યો હોવાથી તેની ઓળખાણ
સારી એવી છે. ઉત્તરકાશીનું ધાર્મિક રીતે ખૂબ મહત્વ ગંગાને લીધે છે એ તો ખરું પણ
બીજી ખાસ વાત એ કે અહીં ગંગા ઉત્તરવાહિની છે એને લીધે આ સ્થાનનું મહત્વ પુરાણકાળથી
જ ખૂબ છે. નકશામાં ઉપરછલ્લી નજર નાખીને ગંગાને ગોમુખથી ગંગાસાગર સુધી નિહાળશો તો
જોવા મળશે કે તે ક્યાંય પણ ઉત્તર તરફ નથી વહેતી. ગોમુખથી નીકળીને પશ્ચિમ તરફ,
પછી દક્ષિણ તરફ, બાદમાં પૂર્વ બાજુ અને છેવટે દક્ષિણ તરફ વહીને
સાગરમાં મળી જતી દેખાશે. આમાં ઉત્તર તરફ વહેતી હોય તેવા થોડા ભૂમિભાગ આવે છે ખરા,
અને તે કારણે જ એવા
સ્થાનનું માહાત્મ્ય આપણા પુરાણોએ ખૂબ કર્યું છે. કાશી બનારસમાં ગંગા ઉત્તરવાહિની
છે તો અહીં ઉત્તરકાશીમાં પણ તે એક લાંબો વળાંક લઈને થોડા ભાગમાં ઉત્તર તરફ વહે છે.
એટલે આ સ્થાન સાધુ સંતોને સાધના માટે પ્રિય રહ્યું છે. અહીં કાશી વિશ્વનાથ
મહાદેવનું મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પરશુરામ, દત્તાત્રેય કંડારદેવ વગેરે અનેક પ્રાચીન મંદિરો
આવેલ છે. સાધુઓનાં સ્થાનો અને આશ્રમો આજે પણ મોટી સંખ્યામાં છે.
![]() |
મંદિર પરિસરમાં પહાડી સ્ત્રીઓ |
ખીણમાં આવેલું હોવાથી અહીં શિયાળામાં ઠંડી
થોડી ઓછી હોય અને ઉનાળામાં ખુશનુમા હવામાન જળવાઈ રહે છે.
પ્રકૃતિનાં રસિયાઓ માટે તો અહીં મજા જ મજા
છે ! અહીં પૂર્વ કે પશ્ચિમમાં થોડું ચાલતાં જ તમે જંગલમાં અને એકાદ પહાડમાં જઈ
પહોંચો. પ્રાચીન કાળમાં વર્ણાવત કહેવાતો આ પ્રદેશ છે. પગદંડીનાં અનેક રસ્તાઓ
પર્વતો ભણી લઈ જાય છે. પહાડો ઉપર પણ કેટલાય મંદિરો આવેલ છે પણ સ્થાનિક લોકો જ
ત્યાં જતા હોય છે, બહારના પ્રવાસી
ભાગ્યે ત્યાં જાય છે. આ જંગલોમાં વિવિધ પંખીઓ ખૂબ જ જોવા મળે છે. ઉત્તરકાશીની
ઉત્તરમાં અસિ નદી આવીને ગંગાને મળે છે. અહીં ગંગા ભાગીરથી તરીકે જ ઓળખાય છે, ગંગા
નામ તો દેવપ્રયાગમાં અલકનંદા નદી સાથે તેનો સંગમ થાય પછી જ મળે છે. અસિ નદીનાં
કિનારે કિનારે એક રસ્તો દૂર આથમણા પહાડમાં આવેલ ડોડીતાલ નામના સરોવર સુધી જાય છે.
ખૂબ જ સુંદર સરોવર છે, ઊંચાઈ પર હોવાથી
ચાર પાંચ મહિના તો થીજેલું જ રહે છે, આજે તો મોટું પર્યટન સ્થળ બની ગયું છે. આ ડોડીતાલથી એક અત્યંત જંગલી અને
દુર્ગમ રસ્તો છેક યમુનોત્રી સુધી જાય છે. વરસો પહેલા હું ત્યાં ચાલીને યમુનોત્રી
પહોંચ્યો હતો. એની વાત પણ ક્યારેક માંડીશું. આસપાસનાં પહાડોમાં આવા બીજા ત્રણ
જેટલા સરોવરો છે.
![]() |
ગંગાઘાટ પર શિવપ્રતિમા, ઉત્તરકાશી |
ઉત્તરકાશીનું એક અન્ય નામ સૌમ્યકાશી પણ છે
અને પુરાણોમાં તેનો ઉલ્લેખ મળે છે પણ પહાડી લોકો તો હજુ થોડા વરસો પહેલા આ સ્થાનને
બારાહાટ તરીકે જ ઓળખતા હતા. બાર ગામનું હટાણું આ ગામમાં હતું એટલે એ નામ પડ્યું એમ
કહે છે. આપણી ગુજરાતીમાં પણ હાટ અને હટાણું જેવા શબ્દો છે અને અહીં ગઢવાલી ભાષામાં
પણ તે એ જ અર્થ સાથે વપરાય છે એ નવાઈ જેવું ગણાય કે નહી ? આવા તો ઘણાં શબ્દો મેં નોંધ્યા છે. અહીં આજે પણ
કેટલીય જગ્યાએ `બારાહાટ´ લખેલું જોવા મળે છે પણ ઉત્તરકાશી નામ હવે
સર્વમાન્ય બની ગયું છે.
ઉત્તરકાશીનું મહત્વ જુના જમાનામાં ખૂબ હતું.
કારણ કે બે દેશોને જોડતા ધોરી માર્ગ પર એ આવેલું છે, અહીંથી ગંગોત્રી તરફ જતાં જાંગલા નજીકથી એક
દુર્ગમ માર્ગ નેલંગ ઘાટી ભણી જાય છે, એ ઊંચો ઘાટ ઓળંગીને તિબેટ પહોંચાય છે. 1960 સુધી તો સરહદો ખૂલ્લી હતી એટલે આ મારગે થઈને
ભોટિયા વેપારીઓ પોતાની પોઠ યાક ઉપર લાદીને બન્ને દેશ વચ્ચે આવ જા કરતાં. આ માર્ગ
બરાબર મધ્ય તિબેટમાં પહોંચાડતો હોવાથી તેની અગત્યતા ખૂબ હતી. ઉત્તરકાશી તેમનાં
વેપારનું એક મુખ્ય મથક હતું. કૈલાસ માનસરોવરની યાત્રા પણ અહીંથી થઈ શકતી. આજે તો
બધું પડી ભાંગ્યું છે. ચીનનાં હુમલા પછી સરહદો બંધ થઈ. ઘાટનો માર્ગ હોવાથી લશ્કરનો
ખાસ પહેરો અહીં લાગેલો રહે છે. નેલંગ વિશે હું યોગ્ય જગ્યાએ આગળ લખીશ.
![]() |
અસિગંગા નદી, ઉત્તરકાશી નજીક રળિયામણો પરિવેશ |
નેલંગમાં
આપણા લશ્કરની છાવણી હોવાથી ગંગોત્રીનો આ રસ્તો દેશનાં સંરક્ષણની દૃષ્ટિએ પણ ખૂબ
અગત્યનો છે. અને એ કારણે જ ઉત્તરકાશીનું મહત્વ પણ ખૂબ છે. નજીકમાં આવેલ માતલી ગામે
લશ્કરની છાવણીનું ઠેકાણું છે. સૈન્યની આ ખાસ પાંખ અહીં ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP)
તરીકે જાણીતી છે.
ગંગોત્રી માર્ગ ઉપર સૈન્યનાં વાહનોની અવરજવર સતત ચાલું જ હોય છે. નેલંગ ઘાટીમાં
આવેલ છાવણી શિયાળામાં પણ ધમધમતી રહે છે.
ઉત્તરકાશી
એક તીર્થસ્થાન છે એ વાત તો આપણે ગયા હપ્તામાં જોઈ, અસંખ્ય મંદિરો અને ધાર્મિક સ્થાનો અહીં આવેલા
છે અને આ સ્થાનનું પૌરાણિક મહત્વ પણ કેવું છે એ આપણે જોયું. અને તીર્થસ્થાનનું
આકર્ષણ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકોને વધારે હોય, સંસ્કૃતિ પ્રેમીઓ તેને જુદી નજરે જુએ તો
ઇતિહાસપ્રેમીઓની દૃષ્ટિ પણ અલગ હોવાની આમ છતાં આવા સ્થાનોનું આકર્ષણ દરેકને
હોવાનું જ. ઉત્તરકાશીમાં એક એવું `તીર્થ´ પણ આવેલું છે કે ત્યાં દરેક યુવાને એક વાર તો
જવું જ જોઈએ ! એ તીર્થ એટલે આપણા દેશની પ્રસિદ્ધ પર્વતારોહણ સંસ્થા ! જે ટૂંકમાં NIM
(Nehru institute of mountaineering) તરીકે ઓળખાય છે,
આ સંસ્થામાં ટ્રૅકિંગ,
પર્વતારોહણ અને ખડક
ચડાણની તાલીમ આપવામાં આવે છે, ફી સાવ મામૂલી
છે. અહીંની એક મુલાકાત યુવાનોમાં અનેરો ઉત્સાહ જગાવવા અને જીવનને એક નવી દિશા આપવા
માટે પર્યાપ્ત છે. ગંગાનાં સામે પાર
ઉત્તરકાશીનાં છેવાડે આવેલી આ જગ્યાની મુલાકાતે બહુ ઓછા લોકો જાય છે પણ યુવાનોને
ઉત્તરકાશીમાં એક દિવસ વધારે રોકાઈને પણ ત્યાં જવા હું ભલામણ કરું છું. અનેક સમર્થ પર્વતારોહકોએ અનેક પરાક્રમો કરીને
સંસ્થાનું નામ રોશન કર્યું છે, દેશમાં જ નહી પણ
વિદેશોમાં પણ તે એટલી જ પ્રસિદ્ધ છે.
પદયાત્રાનો પ્રારંભ
વહેલી સવારે પાંચ
વાગ્યે અમે ઉત્તરકાશી છોડીને ચાલતા થયા....
શાંત પરિવેશમાં માત્ર ગંગાનો મધુર રવ જ
સંભળાતો હતો, અહીંથી બાવીસ
કિલોમિટર સુધી તો અમારે સડકે જ ચાલવું પડે તેમ હતું. જુની પગદંડી પર જ આ સડક બની
છે. ચાર ધામની યાત્રા ચાલું થવાને હજુ વાર હોવાથી સડક પણ સાવ સૂમસામ હતી, બસ ગંગાનું અને પ્રકૃતિનું મનોરમ્ય કાવ્ય જ
ચારે તરફ પ્રવર્તતું હતું. થોડીવારમાં તો અમે શહેર છોડીને પહાડોનાં સ્વર્ગ વચ્ચે
પહોંચી ગયા.
![]() |
ગંગાકિનારે વાત્સલ્ય ઝરણુ |
સવારથી જ એક
ગઢવાલી ભરવાડ તેની ગાયોનું ટોળું લઈને અમારી સાથે થયો... ઘડીમાં તે અમારી આગળ થાય
તો થોડીવારમાં અમે તેની આગળ નીકળીએ. થોડો સમય તો એ અતડો રહ્યો પણ પછી મેં તેની
સાથે સંવાદ સ્થાપ્યો અને પછી તો એવો ખીલ્યો કે ન પૂછો વાત !
દૂર દૂર આવેલા તેના ગામમાં ચરવાનું ખૂટ્યું
હતું એટલે હવે તે ગંગનાણીની ઉપર વિસ્તરેલા પહાડોનાં શિખરે આવેલા હરીયાળા મેદાનોમાં
રહેવા જઈ રહ્યો હતો. અમારી સાથે તે બે દિવસ સુધી ચાલ્યો. મિત્રતાનાં તંતુ એવા
જોડાયા કે અમને તેની સાથે આવવા આમંત્રણ આપ્યું ! જો હું ગંગાનું લક્ષ્યાંક લઈને ન
નીકળ્યો હોત તો જરૂર તેની સાથે ચાલતો થયો હોત. પહાડોની તેની વાતો મારા જેવાને
લલચાવે તેમાં શી નવાઈ...! એક જગ્યાએ તે ગાયોને આરામ આપવા થોભ્યો અને અમે પણ તેની
સાથે વાતો કરતા બેઠાં. સામે જ એક ગાય બેસીને વાગોળવા લાગી અને તેની બાજુમાં જ
તેનું નાનકડું વાછરડું પણ બેસી ગયું. હું તો તે દૃશ્ય જોઈને જ ભાવવિભોર થઈ ગયો.
કેટલું નિશ્ચિંત હતું એ બાળ ! માનવી હોય કે પશુ, માતાની ગોદ જેવી સલામતી બીજે ક્યાંય અનુભવાતી
હશે ખરી ? અમે પણ આખરે મા
ગંગાની ગોદમાં જ હતાને !
![]() |
ઘાસ વાઢવા જતી પહાડી સ્ત્રીઓ |
આગળ જતાં સડકની બાજુમાં જ ચાલતી એક પગદંડી પર
કંઈક કલબલાટ સંભળાયો. પહાડી કન્યાઓનું એક ટોળું હસીમજાક કરતું, અમને નમસ્કાર કરી બાજુમાંથી પસાર થયું, અને મને
ભૂતકાળની દુનિયામાં ધકેલતું ગયું ! બાળપણ ખેતરોમાં જ વીત્યું હતું અને આજે પણ ખેતી
જ મુખ્ય ધંધો છે એટલે રોજ રોજ વગડામાં ઘાસ કે બળતણ લેવા જતી આપણા ગામડાની સ્ત્રીઓનાં
દૃશ્યો મારા માટે નવા નથી, પણ હિમાલયની વાત જ અનોખી છે, અહીં કોઈ સ્ત્રીને માથે ઘાસનો ભારો લઈને ચાલતી
તમે નહી જુઓ. પહાડની જોખમી પગદંડી પર એ શક્ય પણ નથી. તેના ઉપાય તરીકે અહીં આપણા
સૂંડલાની જેમ વાંસની ગૂંથેલી ટોપલીઓ વપરાય છે, જે માથે નહીં પણ પીઠ પાછળ લટકાવીને
અહીંની હિમાલયપુત્રીઓ રોજ રોજ પહાડો સાથે રમતી રહે છે. આપણે જેને જોખમ કહીએ એ તો
તેમના લોહીમાં જન્મથી જ વણાયેલું હોય છે !
![]() |
પર્વતોનું પ્રથમ દર્શન |
આહાહાહા...
પર્વતાધિપતિ, નગાધિરાજનું પ્રથમ દર્શન...!
એક વળાંક વળતાં જ જોયેલા આ દેખાવને જોતા જ
હું સ્તબ્ધ બનીને થંભી ગયો. પેલો ભરવાડમિત્ર બિચારો મારી હાલત જોઈને વિમાસણમાં પડી
ગયો.. પણ મારી લાગણીઓ તેને કેમ સમજાવી શકું ? સામે જ ક્ષિતિજ પર વિરાટ હિમશિખરો ખડા હતાં. આ
એ જ શિખરો કે જેના ઉપરથી ગંગાનો આવિર્ભાવ થાય છે. ત્યાંથી નીસરેલી ગંગા અમારી
બાજુમાં જ વહી રહી હતી પણ મન તો ઊડીને પેલા શિખરે જઈ બેઠું. યુવાનીનાં તરવરાટભર્યા
એ દિવસો. બરફ સાથેની એ નિરંતર લડાઈ અને આખરે તેનાં એક શિખરને સર કરવામાં મળેલી
સફળતા. એક ચિત્રપટની જેમ બધું નજર સામે આવીને ઊભું રહી ગયું. આ એ જ ચોખંભાનું
દર્શન હતું. આહા, કહાં ગયે વો દિન !
દિવસ પશ્ચિમે ઢળ્યો અને અમે ગંગા કિનારે એક
આશ્રમે પહોંચ્યાં. ભરવાડ મિત્ર આગળ ચાલ્યો, તેને તો રાત્રી મુકામ થાય એવો કોઈ વગડો શોધવાનો
હતો !
![]() |
બારી બહાર ગંગાદર્શન |
પાયલોટબાબાનો આ આશ્રમ હતો, અમારી વાત સાંભળીને તુરત જ અમને એક રૂમ ખોલી
આપવામાં આવ્યો. રૂમમાં પ્રવેશીને બારી ખોલી તો મન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. પ્રથમ
તો બે હાથ જોડીને પ્રણામ કર્યાં.... શું જોયું હતું ? એ જ પાવનકારી, પાપવિમોચિની માતા ગંગાનાં નિર્મળ પાણી વહી
રહ્યાં હતાં, જેના જળનો
સ્પર્શમાત્ર દિવસભરનો થાક ઊતારી દેવા પૂરતો હતો. મન પોકારી ઊઠ્યું હર ગંગે, હર
ગંગે.
યાત્રાનો પાવનપંથ
ગંગાનાં જે અવર્ણનીય પ્રદેશમાંથી અમે પસાર
થઈ રહ્યાં હતાં તેનું શબ્દોમાં વર્ણન કેમ કરવું એ જ સમજાતું નથી...! શબ્દોને ગમે
તેવા અલંકાર પહેરાવું તો પણ યથાતથ રૂપ આલેખી શકાય જ નહી. એ સનાતન પ્રવાહ અમારી
સાથે જ ખીણમાં વહી રહ્યો હતો. પાણી મેદાનો ભણી દોડી રહ્યાં હતા તો અમે તેના મુખ
ભણી પહાડોમાં ઊંચેને ઊંચે ચડી રહ્યાં હતાં. ઉનાળો જામવાને હજુ વાર હતી અને પહાડો
પરનો બરફ હજુ ઓગળ્યો ન હતો એટલે ગંગામાં સાવ ઓછું પાણી દેખાતું હતું. પણ એ કારણે જ
એ પ્રવાહ એટલો સ્વચ્છ હતો કે જાણે બિલોર કાચ જોઈ લો ! તળિયાનાં પથરા પણ જોઈ શકાતા
હતાં, પણ અમે તો એટલે ઊંચે ચાલી
રહ્યાં હતા કે ઊંડી સાંકડી ખીણમાં વહેતી ગંગાનાં તો ક્યારેક જ દર્શન થતા.
ભટવાડી ગામ છોડ્યા પછી એક પગદંડી પહાડોમાં
પસાર થતી આગળ વધી રહી છે.
સડકનો રસ્તો નીચે રહી જાય છે અને એ પાતળી કેડી ઊંચે ઊંચે
ચડતી જાય છે. એ જ હતો પુરાણો યાત્રાપથ. હજુ પોણી સદી પહેલા તો એ કેડીઓ યાત્રિકોથી
ધમધમતી હતી પણ હવે તો કેટલાક સ્થાનિક અને ક્યારેક અમારા જેવા પાગલ પદયાત્રીઓ જ
ત્યાં ચાલે છે. આ પાગલ શબ્દ એટલે વાપરું છું કે અહીં મળેલા એક સાધુએ અમારી
પદયાત્રાની વાત સાંભળીને કહ્યું હતું કે `हमे तो लगता था कि साधु लोग ही पागल है, पर अब लगता है आप जैसे और पागल भी है...!´ એ બાબા સિત્તેર વરસની ઉંમરે ચાર ધામની પદયાત્રા
કરી રહ્યાં હતાં અને આ તેમની કેટલામી યાત્રા હતી તે તેમને યાદ ન હતું ! ખભે કામળો,
એક બગલથેલો અને હાથમાં
લાઠી એટલો જ ભાર તેમની પાસે હતો જ્યારે અમારા અસબાબનો પાર ન હતો, એમની રીતે યાત્રા કરવી એ આપણું ગજું નહી.
![]() |
ગંગાનો પાવન પ્રવાહ |
![]() |
ભાગીરથી પર ઝૂલા પુલ |
ચીડનાં જંગલમાં થઈને પગદંડી ચાલી જતી હતી.
ઠેર ઠેર ચીડનાં મોટા મોટા લાકડીયા ફૂલ વેરાયા હતાં જેમાં કેટલાક નાળિયેરથી પણ મોટા
હતાં. જ્યાં જ્યાં ચીડ એટલે કે હિમાલય પાઇનની બહુલતા હોય ત્યાં બીજી વનસ્પતિ
ભાગ્યે ખીલી શકે. તેનાં પાનની સળીઓની પથારી રસ્તામાં પથરાઈ હોય આમાં લપસી પડવાનું
પણ જોખમ ખૂબ રહે. આ સળીઓ ઉનાળામાં જંગલોમાં આગ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે અને
જ્યાં જ્યાં ચીડની બહુલતા હોય ત્યાં પાણીનાં સ્ત્રોત પણ ઓછા હોય છે. પણ હિમાલય તો
દરેકને આશ્રય આપે એવું વિશાળ હૃદય ધરાવે છે. દરેક પ્રદેશને પોતાની વિશેષતા હોય છે,
કોઈ પણ વનસ્પતિ ક્યારેય અહેતુક નથી ઊગતી. કુદરતે તેને યોગ્ય કારણે જ ઊગાડી હોય છે.
હું મૂળ તો વનસ્પતિ અને પંખીઓનો શોખિન જીવ
એટલે મને તેનું આકર્ષણ વધારે હોય એ સહજ છે. અહીં પુષ્કળ મનમોહક પંખીઓ જોવા મળે છે
પણ તેના વિશે લખું તો લેખ ખૂબ લાંબો થાય તેમ છે અને બીજાને તેમાં રસ ન પણ પડે એવું
બને.
હિમાલયનાં ઊંડાણમાં ઊતર્યા વગર કે એકાદ શિખરે
ચડ્યાં વગર હિમાલયનાં રહસ્યો પામી શકાતા નથી કે નથી તેની સાથે એકરૂપ થઈ શકાતું.
હિમાલય જનારા દરેકને મારી એક સલાહ છે કે ભલે થોડા કલાકો માટે પણ એકાદ પગદંડી
પકડીને ચાલજો. જે આનંદ આવશે તે અનોખો હશે અને થાક પણ ત્યાં મીઠો લાગશે.
![]() |
રસ્તા કાંઠે મહાદેવની દેરી |
અમારી પગદંડી અમને ગંગનાણી ગામ ભણી લઈ જતી
હતી પણ અમારે ગંગનાણીનાં ગરમ કુંડમાં નહાવાનો વિચાર હોતો એટલે ગંગનાણીની પગદંડી છોડીને
ગંગનાણીનો રસ્તો પકડ્યો ! ગૂંચવાઈ ગયા મિત્રો ? થોડી ચોખવટ કરી લઉં. વાહનમાં ગંગોત્રી જતા
લોકો ગંગનાણી ગામમાંથી પસાર થાય છે તે ખરેખર તો ગરમ પાની તરીકે ઓળખાતું સ્થળ છે અને
આજે ગંગનાણી તરીકે જાણીતું ભલે થયું પણ સાચું ગંગનાણી ગામ તો ગંગાને સામે પાર ઊંચે
પહાડમાં વસેલું છે અને જૂની પગદંડી એ ગામમાંથી જ પસાર થતી હતી. એટલે જ મારે કહેવું
પડ્યું કે ગંગનાણી ગામ જતી કેડી મૂકીને અને ગંગનાણી (ગરમ પાની) જવા માટે નીકળ્યાં
! સાવ નહી જેવી કેડી પરથી પહાડ ઊતરવાનું કામ ભારે મુશ્કેલ પણ કાયમની આદત એટલે
વાંધો ન આવ્યો અને સડકે ચડી ગયા.
![]() |
શાળાએથી પરત આવતા બાળકો |
સડક પર કેટલાક રૂપાળાં બાળકો કુતૂહલભરી
નજરે અમને ઊતરતા જોઈ રહ્યાં હતા. કદાચ વિચારતા હશે કે આ માણસો જ છે કે પછી ! પછી
તો બાળકો સાથે થોડી વાતો વાતો કરી, તેઓ થોડે દૂર
આવેલ ગંગનાણી (ગરમ પાની)ની શાળામાંથી છૂટી હવે દૂર આવેલ પોતાનાં ગામે જઈ રહ્યાં
હતા. તેમને ચોકલેટ વગેર આપીને ખુશ કર્યા અને અમે આગળ ચાલ્યાં. આપણે ત્યાં
સ્કૂલબસમાં કે પોતાનાં વાહનોમાં શાળાએ જતા બાળકો અને રોજ રોજ કિલોમિટરો સુધી પહાડ
ચડતા ઊતરતા આ બાળકોમાં કેટલો ફરક છે, વિચારજો.
જમીનમાંથી ગરમ પાણીનું ઝરણું નીકળે એ કુદરતનો
એક આશ્ચર્યજનક ચમત્કાર છે. એમાયે જ્યારે હિમાલયની કડકડતી ઠંડી અને બરફીલા પહાડોમાં
આવા ઝરણા જોવા મળે ત્યારે તો નવાઈનો પાર ન રહે. જે લોકો તેનું વિજ્ઞાન જાણે છે
તેમને પણ આશ્ચર્ય થયા વગર નથી રહેતું. ધરતીનાં ભૂગર્ભમાં તો હજુ ધગધગતો લાવા ઊકળી
જ રહ્યો છે અને તેને પરિણામે તેની નજીક આવેલા ખડકો પણ અત્યંત ગરમ હોય છે, પાણીનાં ભૂગર્ભ પ્રવાહો જ્યારે તેવા ખડકોનાં
સંપર્કમાં આવે ત્યારે એ પાણી પણ ઊકળી ઉઠે છે અને એ જ્યારે બહાર આવે ત્યારે આવા ગરમ
પ્રવાહો જોવા મળે છે.
હિમાલયમાં ચારે ધામમાં આવા ઝરણા જોવા મળે જ છે. યમુનોત્રી
અને બદરીનાથમાં તો તીર્થમાં જ તે આવેલા છે જ્યારે કેદારનાથ જતાં ગૌરીકુંડમાં અને
ગંગોત્રી જતાં આ ગંગનાણીમાં આવા ઝરણા છે. ગંગનાણીની આસપાસ જંગલો અને પહાડોમાં આવી
બીજી ધારાઓ પણ છે પણ ત્યાં તો પગે ચાલીને પહાડ ખૂંદનારા જ જઈ શકે. આપણા ગુજરાતમાં
પણ આવા કુંડ આવેલા છે જ. આ પાણીમાં ખાસ તત્વો ઓગળેલા હોવાથી તેનો વૈદકીય ઉપયોગ પણ
થાય છે. અમે માંદા તો ન હતા પણ ઠીક ઠીક થાકેલા જરૂર હતા, વળી રોજ ટાઢાબોળ પાણીમાં નહાઈને થોડા સંકોચાઈ
પણ ગયા હતા એટલે આજે સાંધા ઢીલાં કરવાની તક ગુમાવવી પાલવે તેમ ન હતી. ધરાઈને
કુંડમાં સ્નાન કર્યું અને અહીં બેઠેલાં પારાશર મુનિનાં દર્શન પણ કરી લીધા.
![]() |
ગંગનાણીમાં ગરમપાણીનો કુંડ |
સૂખીની ચડાઈ.
ગંગાનાં કિનારે
કિનારે અમારી યાત્રા ચાલી રહી હતી...
અમે હવે હિમાલયનાં એવા પરિવેશમાં પ્રવેશી
ગયા હતા કે તેને માટે તો ભવ્યાતિભવ્ય એ એક જ શબ્દ સૂજે છે ! ગંગનાણી છોડ્યાં પછી
હવે માર્ગમાં સુખી નામનો વિરાટ પહાડ આડો પડ્યો હતો. ગંગાનાં પ્રદેશમાં કેટલીક
જગ્યાઓ એવી આવે છે કે ત્યાં ગંગાનાં બન્ને પડખે ભીષણ પહાડો એવા અડીખમ ઊભા છે કે
તેના કિનારે ચાલવું શક્ય નથી બનતું,ક્યારેક એકાદ ઊંચા પહાડની ટોચે જઈને પછી બીજી બાજુ ઊતરવું પડે છે. આજે અમારા
રસ્તામાં એવો જ એક સુખીનો પહાડ આવવાનો હતો એટલે ભારેખમ ચડાઈ ચડવાની હતી. વાહનો
માટેની સડકને પણ એ પહાડ ચડવો જ પડે છે. પહાડની ટોચ પાસે આવેલ સુખી ગામ અમારું
લક્ષ્યાંક હતું. સડકનાં મારગે એ લગભગ વીસ કિલોમીટરની ચડાઈ હતી પણ કેડીનો રસ્તો
માત્ર બાર કિલોમીટરનો હતો ! અમે તો રહ્યાં પગદંડીનાં અલગારી મુસાફરો. અમને તો સુખી
પહોંચવા માટે કેડી જ સુખ આપે તેમ હતી !
![]() |
ગંગાનાં નિર્મળ જળ, લોહારીનાગ |
ગંગા વટાવીને લોહારીનાગનાં લોઢા જેવા
પ્રદેશમાં પગ મૂક્યો. જ્યાં જુઓ ત્યાં કઠોર પથરા જ પથરા દેખાય, ગંગાનાં પટમાં પણ મોટી મોટી મહાકાય શિલાઓનું જ
રાજ હતું. આમાંથી માર્ગ કરતા તો ગંગાને પણ ભારે મહેનત કરવી પડતી હશે એમ તેના
ઘુઘવાટ પરથી જ સમજાતું હતું. ઉપર પહાડો પણ એવા તોળાઈ રહ્યાં હતાં કે હમણાં જ એકાદ
શિલા તૂટીને માથે આવી પડશે કે શું એવું જ લાગ્યા કરે. અહીં પાણી મેળવતા ભારે તકલીફ
પડી પણ આખરે એક નાનકડી ધારા મળી આવી અને અમે તરસ બુઝાવી. નીચે ખીણમાં ભલે ગંગાનો
પાવન પ્રવાહ વહેતો હોય પણ તેના પાણી તો અમારા માટે સુવર્ણમૃગ જેવા દૂર હતા ! લગભગ
અઢી કલાક ચાલીને અમે આ દુર્ગમ પ્રદેશ વટાવી દીધો. પણ પછી અમારી સામે ખડો થઈ ગયો
લીલોછમ સુખીનો પહાડ ! ફેફસાંમાં સમાય એટલો શ્વાસ ભરીને ચડાઈ આરંભી પણ આમાં શ્વાસ
કાબુમાં રહે ખરો ?
ચાર દિવસથી ચાલી રહ્યાં હતાં પણ આવું ભારે
ચડાણ તો પહેલીવાર આવ્યું. બીચારી પુરાણી પગદંડીનાં તો હાલહવાલ થઈ ગયા હતાં પથરાઓ
ઊખડી ગયા હતા અને ક્યાંય તો આમાં કેડી ક્યાં છે એ જ શોધવું પડે એમ હતું. અહીં
અમારા જેવા પાગલો જ ચાલતા હશે એમ લાગ્યું પણ પછી અમારા આશ્ચર્ય વચ્ચે એકાએક ત્રણ
સાધુઓ અમારી પાછળથી ફૂટી નીકળ્યાં અને અમને નમો નારાયણ કહીને જોતજોતામાં આગળ નીકળી
ગયા.
તેમનો ઉત્સાહ જોઈને અમારામાં પણ નવો ઉમંગ પ્રગટ્યો. મને તો આ ત્રણેયને જોઈને
તુરત જ કાકાસાહેબ, સ્વામી આનંદ અને
અનંતબુવાની ત્રિપુટી જ યાદ આવી ગઈ !
![]() |
પદયાત્રા કરતા સાધુઓ |
ચડાણ ભલે આકરું હતું પણ રસ્તાની શોભા તેનું
સાટું વાળી દે એવી હતી. એક જગ્યાએ બુરાંશનું ઝાડ ખીલી ઊઠ્યું હતું. આમ તો તેના
ખીલવાની ઋતુ વીતી ગઈ હતી પણ આટલી ઊંચાઈએ આ ઝાડ હજુ યૌવનથી ભરપૂર હતું. રસ્તામાં જંગલી
ગુલાબ પણ એવો જ ખીલ્યો હતો. સફેદ ફૂલોની ઝાડી ઠેર ઠેર લાગી હતી. અને તેમાંથી વહેતી
મદમસ્ત સુગંધ આખા રસ્તે અનુભવાતી હતી. અને પહાડોની ઉપર છવાયેલું બરફનું અદ્ભુત
સૌંદર્ય તો અમને આટલાં પરસેવા વચ્ચે પણ ઠંડક આપતું હતું ! અને હિસાલું નામના જંગલી
ફળ તો ચારેબાજુ ઢગલાબંધ પાક્યા હતાં. તેનો લાભ પણ લેતા રહ્યાં. આ બધું જોતા તો
શરીરનું કે થાકનું ભાન પણ ભુલાઈ જાય એમાં આશ્ચર્ય ખરું ? આ
આનંદનું વર્ણન પણ કેમ કરવું ?
![]() |
ખીલી ઉઠેલું બુરાંશ વૃક્ષ |
સુખીનો આ પૂરો પહાડ તો ખૂબ જ ઊંચો છે અને
તેને પાર કરવા લગભગ નવ હજાર ફૂટથી પણ વધારે ઊંચે ચડવું પડે છે ! અહીં સુખી ગામ
વસેલું છે. રહેવાસીઓ મોટેભાગે ખેતી કરે છે, પગદંડીની આસપાસ અનેક ખેતરો પથરાયેલા હતાં અને આ
ખેતરોમાં મુખ્યત્વે સરસવ વાવેલા હોવાથી ખેતરો તેના ફૂલોથી પીળા રંગે શોભતા હતાં. આ
પહાડ અને ગામ વિશે ઘણું લખી શકાય તેમ છે કેમ કે હું અગાઉ અહીં રહ્યો હતો પણ આપણી
હાલની યાત્રા સાથે તે સુસંગત નથી કોઈને એમ કહીએ કે યમુનોત્રીથી ગંગોત્રી પગે
ચાલીને માત્ર ત્રણ દિવસમાં પહોંચી શકાય છે તો એ મને પાગલ જ ગણી કાઢે પણ આ સુખી
ગામથી યમુનોત્રીનાં માર્ગે માત્ર એક દિવસમાં પહોંચી શકાય તેવી પહાડી પગદંડી છે.
અરે, હિમાચલપ્રદેશમાં ઊતરી
પડવું હોય તો પણ આગળ એક અન્ય દુર્ગમ રસ્તો છે ! વાહનમાર્ગ બન્યા પછી લોકો પદયાત્રા
ભૂલી ગયા છે પણ આવી કેડીઓ આજે પણ હયાત છે ખરી.
અમે બપોરે દોઢ વાગ્યે ઉપર પહોંચી ગયા.
ગરમીમાંથી એકાએક જ કડકડતી ઠંડીમાં પહોંચી ગયા પણ સમય હોવાથી અહીં રોકાવાને બદલે
બીજી બાજુ ઉતરાણ કરવાનું નક્કી કર્યું અને સાંજ પહેલા તો આખો પહાડ ઊતરી પણ ગયા. રસ્તામાં
વરસાદે એક ઝાપટું નાખીને અમને થોડા પખાળ્યાં પણ ખરા !
સુખીનો વિરાટ પહાડ ઊતરીને અમે ઝાલા ગામે
પહોંચ્યાં, અમારી તૂટીફૂટી
પગદંડી એકદમ સીધ્ધા ઊતારવાળી હતી અને તેમાં વરસાદ આવ્યો એટલે અમે બન્ને એક બે વાર
ભોં ભેગા પણ થયા ! ખરેખરી મજા થઈ પણ હિમાલયની ખરી મજા પણ એમાં જ છે. જેટલી
મુશ્કેલી વધારે તેટલો જ કુદરતનો આનંદ વધારે. અમને કોઈ ફરિયાદ ન હતી. પણ પછી ઝાલા
ગામે પહોંચીને બરફ જેવા ટાઢા પાણીએ નહાવું પડ્યું ત્યારે થોડી તકલીફ થઈ ખરી !
![]() |
સુખી ટોપ પરથી ગંગાદર્શન |
ઊંડી ઊંડી ખીણમાં વહેતી ગંગા અહિ સાવ નવતર
સ્વરૂપમાં જોવા મળે છે. ઊછળતી કૂદતી અને શોર મચાવતી ગંગા એકાએક જાણે ઠાવકી બની
જઈને અનેક ધારાઓમાં વહેંચાઈને વિશાળ રેતાળ પટમાં વહેતી નજરે પડે છે. જાણો તેનું
રહસ્ય. બહુ જુના કાળમાં આ સુખીનાં પહાડ નીચે મોટું ભૂસ્ખલન થયું અને ગંગાનાં
પ્રવાહ આડે મોટો કુદરતી બંધ બંધાઈ ગયો. પાછળ પાણીનું મોટું સરોવર ખડું થઈ ગયું અને
જેમ જેમ સમય વીત્યો તેમ તેમ નદીમાં ઘસડાઈ આવતી રેતી અને કાંપથી એ સરોવર પૂરાઈ ગયું
અને આજનો રેતાળ પટ બન્યો.
ગંગાનાં સૌથી વધારે રમણીય અને અપૂર્વ એવા
પ્રદેશમાં હવે અમે પ્રવેશી ગયા હતાં. ઊંચા ઊંચા પહાડો અને દેવદારનાં પવિત્ર જંગલો
હવે નજર સામે પથરાયા હતાં. જો વાદળછાયું વાતાવરણ ન હોત તો ઉપરની બરફમાળ પણ અભિભૂત
કરે એવી દેખાતી હોત. જો કે બીજા દિવસે સવારે ચોખ્ખું વાતાવરણ હતું અને અમે એ ભવ્ય
અને સનાતન દૃષ્યો માણી શક્યાં હતાં.
ઝાલા ગામ પહોચ્યાં ત્યારે આકાશ તો કાળા
ભમ્મર વાદળાઓથી છવાઈ ગયું હતું. હજુ વધારે વરસાદ આવશે એમ લાગતું હતું અમારે આગળ
જઈને હરસીલમાં રોકાવું હતું પણ પલટાયેલું વાતાવરણ જોતા આગળ જવાને બદલે આ ગામમાં જ
મુકામ નાખ્યો. અમારો એ નિર્ણય એકદમ સાચો સાબિત થયો. સાંજ પડતા જ વરસાદ અને પવનનું
જોરદાર વાવાઝોડું ત્રાટક્યું ! મોટા સોપારી જેવડા કરાનું તોફાન થયું. અમારી રૂમનાં
છાપરે પતરાં હતાં તેણે કાળો દેકારો મચાવી દીધો. એટલાં ભાગ્યશાળી કે આવામાં બહાર ન
હતાં નહિતર ભારે પડી જાત. કરાનું આ તોફાન મારા માટે નવું ન હતું અને એમાંથી કેમ
બચવું તેની તૈયારી પણ હતી જ, છતાં આ હિમાલય છે ત્યાં ક્યારે શું બને તે કહેવાય
નહી. ગયા વરસે હું અને મારા મિત્ર ભાનુભાઈ રૂદ્રનાથનું આરોહણ કરી રહ્યાં હતા
ત્યારે પણ આવું જ તોફાન આવ્યું હતું અને મોટા મોટા કરાએ અમારા હાલહવાલ કરી નાખ્યાં
હતાં પણ ત્યારે બરાબર અણીનાં સમયે અમને આશરો મળી ગયો હતો. અલબત્ત હિમાલયનું તોફાન
પણ માણવા લાયક હોય છે.
તે રાત્રે મોડે
સુધી વરસાદ પડ્યો પણ અમે સલામત હતાં....
ઝાલા ગામથી પગદંડીનો એક મારગ ગંગાનાં કિનારે
કિનારે હરસીલ ગામ સુધી જાય છે તો ગંગાનાં સામા કિનારે વાહનો માટેની સડક પણ ગંગોત્રી
તરફ જાય છે. પગદંડીનાં રસ્તે આગળ શ્યામગંગા નામની એક મોટી નદી ગંગામાં આવીને મળે
છે. તેને ઓળંગવા માટે લાકડાનો નાનો પુલ હતો પણ ગામ લોકોએ અમને જણાવ્યું કે એ પુલ
તૂટી ગયો છે અને નદીમાં ઊતર્યાં વગર તે ઓળંગી શકાય તેમ નથી હું આ વિસ્તારમાં અગાઉ ઘણું ફર્યો હોવાથી એ
નદીને જાણતો હતો, પુલ વગર ઓળંગી શકાય એ શક્ય જ ન હતું, પહાડોમાં બરફ ઓગળવાનું હજુ ચાલું થયું ન હોવાથી
કદાચ પાણી ઓછું હોય તો ઓળંગી શકાય ખરી. અમે આ બાબતમાં લાંબા સમય સુધી વિચારણા કરી
અને છેવટે નિર્ણય લીધો કે પગદંડીનો રસ્તો છોડીને હવે સડકે જ ચાલવું. મને અફસોસ ન
થયો કેમ કે પગદંડીનાં એ રસ્તે અગાઉ ચાલ્યો છું. હરસીલ અહીંથી માત્ર પાંચ કિલોમિટર
દૂર છે.
![]() |
અમે બે રખડુંઓ |
આ શ્યામ ગંગાનું નામ તેના પાણી પરથી પડ્યું
છે. જે લોકોએ ગંગાને ઉનાળામાં ભરપૂર વહેતી જોઈ છે તેઓ જાણતા હશે કે ગંગાનાં પાણી
એકદમ ડહોળા અને સફેદ લાગે છે. આ ગંદકીને કારણે નથી પણ આ વિસ્તારનાં અબરખનાં
પહાડોની બારીક રેતી તેમાં ભળેલી હોય છે એટલે ડહોળા લાગે છે, શિયાળામાં આ રેતી બરફ ઉપર જમા થતી રહે છે અને
ઉનાળો આવતા બરફ ઓગળે ત્યારે તે પણ ગંગાનાં પાણીમાં ભળે છે. આની સામે કેટલીક
નદીઓનાં માર્ગમાં આવા રેતાળ પહાડોને બદલે પથરાળ પહાડો હોય છે તેમાંથી વહેતી નદીઓ
બારે માસ એકદમ નિર્મળ પાણી વહાવતી દેખાય છે. યમુના, મંદાકિની વગેરે એવી નદીઓ છે અને આ શ્યામગંગા પણ
એવી જ નદી છે તેનાં એકદમ સ્વચ્છ અને કાળા ભમ્મર લાગતા પાણી પરથી તેનું નામ
શ્યામગંગા પડ્યું છે.
હરસીલ.
વહેલી સવારે અંધકારમાં જ અમે ઝાલા ગામથી ચાલતા થયાં, આજે પગદંડીએ નહી પણ સડક પર ચાલીને પ્રવાસ
કરવાનો હતો, તે રાતે વરસાદે મન મૂકીને વરસી લીધું હતું પણ
સવારે તો એકદમ ચોખ્ખું હવામાન જોવા મળ્યું ! એકદમ નિરભ્ર નિર્મળ આકાશ, પણ
હિમાલયનાં હવામાનની તાસીર જ એવી છે કે વરસાદની જમાવટ મોટે ભાગે તો બપોર પછી જ થાય.
અને જ્યારે જ્યારે સવારે એકદમ સાફ, ધુમ્મસ રહિત આકાશ
દેખાય ત્યારે સમજી જવાનું કે આજે તો મેઘરાજાનું આગમન થવાનું જ !
ચો તરફ પહાડો બરફ ઓઢીને બેઠાં હતાં, જાણે સમાધિમાં રત યુગો જુના ઋષિઓ જ જોઈલો.
કેટલા યુગ અને કેટલા પરિવર્તનો તેમણે જોયા હશે એ કોણ કહી શકે. યુગો જોનારા એ
પર્વતોને મન અમારી હાજરી તો પળભરની રમત માત્ર જ હતી. પર્વતો ઉપર ઉષાનાં રંગોએ
સ્વર્ગને ભૂલવે એવા વિસ્મયકારક દૃશ્યો ખડા કર્યા હતાં, ચો તરફ પથરાયેલી અનુપમ નિસર્ગશ્રીને માણતા અને
દેવદારનાં જંગલોમાંથી વહેતી સ્ફૂર્તિદાયક હવામાં ઊંડા ઊંડા શ્વાસ લેતા અમે સાત
વાગ્યામાં તો હરસીલની સૌંદર્યસમૃદ્ધ ઘાટીમાં પહોંચી ગયા. અહીં હું ઘણું ફર્યો
હોવાથી આજે તો અહીં રોકાવાનો વિચાર ન હતો.
હરસીલ પહોંચતા જ ભૂતકાળની કેટલીય ઘટનાઓ નજર
સામેથી પસાર થઈ. એક વાર અહીંથી એક ઊંચો ઘાટ ઓળંગીને હિમાચલ પ્રદેશમાં જવાનો પણ પ્રયત્ન
કર્યો હતો એ યાદ આવ્યું. પણ આજે તો સાવ જુદી જ વાત કરવા માગું છું.
આજથી દોઢ સદી પહેલા એક અંગ્રેજ અહીં આવ્યો
તેનું નામ વિલ્સન, અહીં હરસીલમાં જ
રહી પડ્યો અને ગઢવાલનાં રાજા પાસેથી ઇમારતી લાકડાનો ઇજારો રાખ્યો. માણસો રાખીને
જંગલો ઉપર તૂટી પડ્યો, આ ધંધામાં તેણે
બરકત મેળવી અને એટલો ધનવાન બન્યો કે આ વિસ્તારમાં રાજા તરીકે જાણીતો થયો ! પણ તેના
આ ધંધાએ ઉત્તરકાશીથી ગંગોત્રી સુધીનાં પ્રદેશને વેરાન કરી મૂક્યો!
દેવદારનું ઝાડ
શોધ્યું જડે નહી એવી હાલત થઈ, પંખીઓની કેટલીય
જાતો પણ નાશ પામી. તેની અસર જળવાયું ઉપર પણ થઈ. એક અંગ્રેજે જ લખેલ અંગ્રેજી પુસ્તકમાં
આ બધી વાતો લખેલી છે. એ પુસ્તક વાંચતા રૂંવાડા ખડા થઈ જાય છે. ગઢવાલની સ્ત્રીઓ
વિશે પણ તેમાં બીભત્સ વાતો લખી છે અને આ ભોળા લોકોની ઠેકડી પણ ઉડાડવામાં આવી છે એ
કારણે જ હું અહીં એ ચોપડીનું નામ આપવા નથી ઇચ્છતો. મારે આ વાત પણ ટાળવી હતી પણ
પ્રકૃતિને લાગતો વિષય હોવાથી જ આપની સામે રાખું છું.
![]() |
હરસીલનો 1860માં લેવાયેલો ફોટો, પહાડોનાં વેરાન પડખા જોઈ શકાય છે |
એ અંગ્રેજનાં કારસ્તાન વિશે બહુ હોબાળો થયો
એટલે ટીહરીનાં રાજાએ ઇજારો બંધ કર્યો અને ત્યાર પછી ધીરે ધીરે કુદરતે થયેલું
નુકશાન ભરપાઈ કરવાનું ચાલું કર્યું આજે એક સદી પછી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.
![]() |
એ જ જગ્યા આજે |
એ અંગ્રેજની એક સારી ઉપલબ્ધિની વાત કરવી
હોય તો તેણે અહીં પહેલીવાર સફરજનનું વાવેતર કર્યું અને તેને પરિણામે આજે આ આખા
વિસ્તારમાં સારા સફરજનનો પાક લેવાય છે એની નોંધ લેવી રહી.
આજે જ્યાં જુઓ ત્યાં પ્રકૃતિ વિનાશ જોવા મળે
છે ત્યારે આમાંથી શીખવા જેવું લાગે છે, હિમાલયનાં દુર્ગમ પ્રદેશોમાં માણસનો પગ ભાગ્યે પડે એટલે ત્યાં કુદરત થયેલું
નુકશાન લાંબા સમયે ભરપાઈ કરી શકે છે પણ આપણા સપાટ પ્રદેશોમાં એ શક્ય નથી, અહીં તો વિનાશ પછી રણપ્રદેશની જ રાહ જોવાની રહે
છે. અને હિમાલય પણ અત્યારે તો ગ્લોબલ વૉર્મિંગની નઠારી અસર ભોગવી જ રહ્યો છે.
ભૈરવઘાટી.
જેમ જેમ ગંગોત્રી નજીક આવતું હતું તેમ તેમ
અમારી ઉત્સુકતા વધતી જતી હતી. ગંગોત્રી હિમાલયનાં ચારે ધામમાં એવું સ્થાન અને એવું
પાવન સૌંદર્ય ધરાવે છે કે એક વાર ત્યાં જનાર વ્યક્તિ ફરીવાર ત્યાં જવા માટે આતુર
થઈ જ જાય.!
![]() |
હરસીલ નજીક ગંગા |
![]() |
મુખવા ગામ |
સાક્ષાત્ સ્વર્ગ સમાન પ્રદેશમાં અમે હાંફતા
હાંફતા રસ્તો કાપતા હતાં, હવે લગભગ નવ હજાર
ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા હોવાથી અને પીઠ પાછળ ભારેખમ થેલાઓ લઈને ચાલવાનું હોવાથી
થાક લાગવો સહજ હતો. પણ ચોતરફ પથરાયેલું અપૂર્વ સૃષ્ટિસૌંદર્ય એ થાકનું સાટું વાળી
આપતું હતું.
![]() |
શ્રીખંડ પર્વત |
હરસીલ પછી ધરાલી પહોંચ્યા, અહીં ગંગાની સામે પાર મુખવા ગામ આવેલું છે.
ગંગોત્રી ધામ શિયાળાનાં છ મહિના બંધ થાય છે ત્યારે ગંગાજીની પૂજા આ મુખવા ગામમાં
આવેલ ગંગા મંદિરે થાય છે. મારા અગાઉનાં એક પ્રવાસમાં હું આ મુખવા ગામેથી એક
પગદંડીનાં મારગે ચાલીને ગંગોત્રી પહોચ્યો હતો. એ અત્યંત દુર્ગમ માર્ગ છે, ગામ પાછળ આવેલા પહાડની ટોચેથી શ્રીકંઠ પર્વતનું
સુંદર દર્શન થાય છે એટલું જ નહી યમુનોત્રીનો ઉદ્ભવ થાય છે તે બંદરપુંછ, કેદારપર્વત અને બદરીનાથમાં આવેલ નીલકંઠ શિખરો
પણ જોઈ શકાય છે. કહેવાય છે કે રાજા ભગીરથે ગંગાને ધરતી પર ઉતારવા માટે આ શ્રીકંઠ પર્વત
પર તપ કર્યું હતું.
ગંગા વટાવીને અમે બપોરે લંકા (જાંગલા)
પહોંચ્યા. અહીં આપણા અજેય સૈન્યની ચોકી આવેલી છે. અહીંથી તિબેટ તરફ જતો નેલંગ ઘાટ સાવ નજીક
હોવાથી આ બધો વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. આપણા જવાંમર્દ જવાનો રાતને દિવસ આ
પ્રદેશ ઉપર અખંડ નજર રાખે છે. અહીં એક બોર્ડ ઉપર લખ્યું છે કે—
उस मुल्क की सरहद
को
कोई छू नही
सक्ता...
जिस मुल्क की
निगेबान
है ये आंखे.....
જુની આંખે
ફિલ્મનાં ગીતનું આ મુખડું અહીં કેટલું સાર્થક લાગે છે !
અહીં ઊભેલા સૈનિકોને અમે સલામ આપી અને તેમણે
સસ્મિત અમને આવકાર્યા, ફોટોગ્રાફીની
મનાઈ ન હોત તો જરૂર તેમની સાથે ફોટો લેત પણ સૈનિકો જેવી શિસ્ત આપણે પણ પાળવી જ
જોઈએ. અમારા પ્રવાસ વિશે જાણીને તેમણે અમારા ખૂબ વખાણ કર્યાં પણ શુભેચ્છાનાં ખરા
હક્કદાર તો તેઓ જ હતાં.
આગળ ચાલ્યાં અને બરફાનીબાબાનાં આશ્રમ પાસેથી
પસાર થયાં. બહારથી તો સાવ ઝૂંપડી જેવી લાગતી આ જગ્યાએ અખંડ અન્નક્ષેત્ર ચાલે છે એ
ભાગ્યે ધારી શકાય ! અમે બહારથી મંદિરને પ્રણામ કર્યાં. ત્યાં ઊભેલા એક સાધુએ અમને
આવકાર્યા અને અંદર આવવા કહ્યું. અમે રોકાવા માગતા ન હતા પણ તેમણે ખૂબ આગ્રહ કર્યો
એટલે અંદર ગયાં, બરફાનીબાબા તો
આરામમાં હતાં. તુરત જ અમને ગરમાગરમ ચા આપવામાં આવી, ચા પીને પરવાર્યા એટલામાં તો અમારી સામે ભોજનની
થાળીઓ હાજર થઈ ગઈ ! ભોજનની ઇચ્છા ન હોવા છતાં પ્રસાદ માનીને અમે એ સ્વીકાર્યું.
વાતો કરતા ખબર પડી કે આ સાધુ (એટલે કે બાબાનાં સેવક) તો ગુજરાતી હતા ! તેમનું નામ
વિરેન્દ્રદાસ હતું. પછી તો અમારી વાતો ગુજરાતીમાં ચાલી. તેમણે જણાવ્યું કે સાધુઓ
સિવાય કોઈ પદયાત્રી હવે ભાગ્યે નીકળે છે અને ગુજરાતી પ્રવાસી તો તમે પહેલા જ છો !
પછી બાબાને પ્રણામ કરીને વિદાય લીધી. આજે અખાત્રીજનો દિવસ હતો અને ગંગોત્રી ધામનાં
દ્વાર આજે ખૂલી ગયા હતાં. સ્થાનિક લોકોનાં વાહનો એક પછી એક એ મહોત્સવમાં ભાગ લેવા
જઈ રહ્યાં હતાં. અમે જો એક દિવસ વહેલા ચાલ્યાં હોત તો અમને પણ એ અમૂલ્ય લહાવો
મળ્યો હોત.
![]() |
ગુજરાતી સાધુ વિરેન્દ્રદાસ |
તિબેટની સરહદેથી આવતી જ્હાન્વીગંગા (જાડગંગા)નો
ખૂબ જ ઊંચો પુલ વટાવીને અમે ભૈરવઘાટીનું ભારે ચડાણ ચડ્યાં અને લગભગ ત્રણ વાગ્યે
ભૈરવમંદિરે પહોંચીને બાબા કાલીકમલીવાળાની ધર્મશાળામાં મુકામ કર્યો. ધારણા મુજબ જ
આકાશ ઘેરાઈ ગયું, વરસાદ ચાલું થયો,
ચારે બાજુ ઉન્નત પહાડોથી
અમે ઘેરાયેલા હતાં. બધું જ અદ્ભુત અલૌકિક હતું નીચે ઊંડી ખીણમાં મા ગંગાનો સનાતન
પ્રવાહ વહી રહ્યો હતો.
તે રાત્રે ખૂબ વરસાદ પડ્યો. અને બરફવર્ષા પણ થઈ,
બહાર પવનનાં સુસવાટા
બોલતા હતાં. ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું. અમે સ્લિપિંગ બેગ ઉપર ધાબળા નાખ્યાં
તો પણ ધ્રૂજતા રહ્યાં. પણ આ જ તો હતી હિમાલયની ખરેખરી પાવન અનુભૂતિ.
ગંગોત્રી.
આખરે અમારા પ્રવાસનો અંતિમ દિવસ આવ્યો ! આજે
તો ફક્ત આઠ કિલોમિટર જ ચાલવાનું હતું એટલે ભૈરવઘાટી છોડીને સવારે વહેલા નીકળવાને
બદલે છ વાગ્યે નીકળ્યાં.
રાત્રે વરસાદ અને બરફ પડ્યો હતો તેની
નિશાનીઓ આખા રસ્તે જોવા મળી. જે પહાડો કાલે ભૂખરાં લાગતા હતા તે બધાએ આજે બરફ ચાદર
ઓઢી લીધી હતી. દેવદાર, ચીડ કે બાંઝનાં
ઝાડ ઉપર પણ બરફ જામ્યો હતો. ખરેખર એક અનોખાં પ્રદેશમાં થઈને અમે પસાર થઈ રહ્યાં
હતાં. ગંગા તો ખીણમાં એટલે ઊંડે ઊંડે વહેતી હતી કે ક્યારેક માંડ તેના દર્શન થતા
હતાં. આ પવિત્ર વાતાવરણમાં તો ચારે તરફ પ્રકૃતિની અનન્ય લીલા જ નજરે ચડતી હતી.
![]() |
પર્વતો પર બરફ ચાદર |
આગળ જતાં નેલંગ ઘાટ વાળો રસ્તો આવ્યો. ત્યાંથી
તિબેટની સરહદ સાવ નજીક છે. આ નેલંગ ઘાટી હમણાં સુધી પ્રવેશ માટે પ્રતિબંધિત હતી પણ
હવે ત્યાં ભારતીય પ્રવાસીઓને જવાની છૂટ આપવામાં આવી છે. કેટલીક વિધી પૂરી કર્યા
પછી ત્યાં જઈ શકાય છે. મારું પોતાનું આયોજન ત્યાં જવાનું છે કદાચ આવતા વરસે જ એ
ઘાટીની મુલાકાત લઈશ. અહીંનો બધો વિસ્તાર લશ્કરનાં હવાલે છે. ૧૯૬૨ના યુદ્ધમાં ચીન આ
રસ્તે પણ હુમલો લાવ્યું હતું એટલે અહીં લશ્કરની ચાંપતી નજર હોય છે.
દૂર દૂર હવે ગંગોત્રીનાં શિખરો દેખાવા
લાગ્યાં હતાં. ચારે તરફ બરફ જ બરફ દેખાતો હતો. ગંગોત્રી ધામ ડગલેને પગલે નજીક
આવતું હતું. એક આનંદ અને ઉત્સુકતાથી અમે ચાલી રહ્યાં હતાં. એક અઠવાડિયાથી ચાલતી
અમારી મુસાફરીનો પહેલો ભાગ આજે પૂરો થવાનો હતો. મનમાં તો એક જ ધૂન લાગી હતી કે ક્યારે
ગંગાનાં ધામમાં પહોંચી જઈએ !
![]() |
બરફછાયા પહાડો |
ચડાણ તો પગલે પગલે હતું પણ સરસ મજાની સડકે
ચાલવામાં વળી તકલીફ કેવી ? આટલાં દિવસ ચાલી
ચાલી ને હવે તો અમારા શરીર પણ ટેવાઈ ગયા હતાં. ચારે તરફ ફેલાયેલા હિમાલયની પરમ
અનુભૂતિ કરતા અમે ધીરે ધીરે ચાલતા રહ્યાં. સવારમાં તો આકાશ એકદમ સાફ હતું પણ પછી
ધીરે ધીરે વાદળાની જમાવટ થવા લાગી, રોજ બપોર પછી
આવતો વરસાદ પણ અમારી જેમ વહેલો ગંગોત્રી પહોંચી જવા અધીરો થયો હોય તેમ તેનું જોર
પણ વધતું જતું હતું.
બપોરે અગિયાર વાગ્યે અમારી યાત્રાનો છેડો
આવ્યો અને અમે ગંગોત્રી ધામમાં પગ મૂક્યો ! રૂમમાં સામાન મૂકીને દોડતા દોડતા ઘાટ
પર પહોંચ્યાં, મા ગંગાનાં પાવન
જળમાં સ્નાન કર્યું. હિમ જેવા ઠંડા પાણી એટલે બહાર નીકળીને ઠીક ઠીક ધૂણી પણ લીધું
અને મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા. મંદિરમાં તો અમારા સિવાય કોઈ દર્શનાર્થી ન
હતાં એટલે સાવ નિરાંતે દર્શન થઈ શક્યાં. યાત્રા સફળ થયાની પાવન તૃપ્તિ અનુભવી.
પાછા રૂમે આવતા હતાં ત્યારે જ વરસાદ પણ આવી લાગ્યો !
![]() |
ગંગોત્રી ધામ |
બપોરે ચાલું થયેલો વરસાદ સાંજ સુધી વરસતો
રહ્યો. બહાર નીકળી ન શક્યાં. સાંજે થોડીવાર માટે અટક્યો અને અમે આરતીમાં હાજરી
આપી. આરતીમાં માંડ દશથી પંદર જણ હતાં. ધામનાં દ્વાર હજુ કાલે જ ખૂલ્યા હતાં એટલે
પ્રવાસીઓ નહિવત્ હતાં. રાત્રે ફરીવાર વરસાદનું આગમન થયું અને બરફ પણ પડ્યો.
અમે ગંગોત્રીમાં બે દિવસ રહ્યાં. મોટાભાગનાં
આશ્રમો હજુ બંધ હતા. યાત્રાની તૈયારીઓ થઈ રહી હતી. દુકાનો પણ હજુ મંડાતી હતી. બીજા
દિવસે અમે સામા કાંઠે આવેલ પાંડવ ગુફાવાળા જંગલમાં ગયાં એક ઊંચી ધાર ચડ્યાં અને
ત્યારે જ વરસાદે અમને ઘેરી લીધા. તે દિવસે પણ સાંજ સુધી બરફ પડ્યો.
ગોમુખ.
અમારા આ વખતનાં પ્રવાસમાં તો અમે ગોમુખ સુધી
નહોતા ગયાં પણ મને લાગે છે કે ગોમુખનાં વર્ણન વગર ગંગોત્રીનું વર્ણન અધૂરું જ રહે,
ગોમુખ અને તેનાથી પણ ઉપર
હું અનેકવાર ગયો હોવાથી તે વિસ્તારને સારી રીતે જાણું છું-
આમ તો ગંગોત્રી જનાર દરેક યાત્રી ગોમુખ સુધી
નથી જતાં, પણ હું તો એમ
કહીશ કે જે લોકો ત્યાં સુધી પહોંચવા માટે સક્ષમ છે તેમણે એક વાર તો ત્યાં જવું જ
જોઈએ.
ગંગોત્રીથી ગોમુખ જવા માટે 18 કિલોમિટર ચાલવું પડે છે, ચડાઈ ખાસ કઠણ નથી પણ ગોમુખ તેર હજાર ફૂટની
ઊંચાઈએ આવેલ હોવાથી કેટલાક પ્રવાસીઓને થાક અને શ્વાસની તકલીફ થાય છે. જો ધીરે ધીરે
અને આયોજનપૂર્વક યોગ્ય રીતે ચાલવામાં આવે તો આરામથી ત્યાં પહોંચી શકાય છે.
પહેલા ગોમુખ જવા માટે કોઈ મંજૂરીની જરૂર ન
પડતી પણ હવે ગ્લોબલ વૉર્મિંગની ભયજનક અસરો જોતાં રોજ મર્યાદિત સંખ્યામાં જ
યાત્રીઓને ત્યાં જવા દેવામાં આવે છે. એટલે જે લોકોએ ત્યાં જવું હોય તેમણે આગલે
દિવસે જ ફોરેસ્ટ ખાતાની ઓફિસે જઈને મંજૂરી લઈ લેવી પડે છે. પહેલા તો આ મંજૂરી ફક્ત
ઉત્તરકાશીમાં જ મળતી પણ હવે ગંગોત્રીથી પણ એ મળી શકે છે. અહીં વ્યક્તિ દીઠ દોઢસો
રૂપિયા ફી છે. આ મંજૂરીમાં તમારે લખી આપવું પડે છે કે તમે તમારા જોખમે ત્યાં જાઓ
છો અને કોઈ અકસ્માત માટે સરકાર જવાબદાર નથી.
![]() |
ગોમુખ ભણી જતો માર્ગ |
ગોમુખ જઈને પરત આવતા બે કે ત્રણ દિવસ થાય
છે. પહેલે દિવસે ચૌદ કિલોમિટર ચાલીને ભોજબાસા પહોંચવાનું હોય છે. વચ્ચે નવ
કિલોમિટરે ચીડબાસા નામની સુંદર જગ્યા આવે છે ત્યાં કેમ્પિંગ સાઈટ છે પણ ત્યાં
રહેવાની સગવડ નથી. પહેલા ત્યાં ચા પાણીની દુકાન હતી પણ હવે નથી જોવા મળતી એટલે
પહેલા તપાસ કરીને આગળ જવું. અને પ્રવાસનો પ્રારંભ વહેલી સવારે જ કરી દેવો જેથી
સાંજ પડતાં ભોજબાસા પહોંચી શકાય.
ભોજબાસામાં રહેવા માટે લાલબાબા આશ્રમ અને
રામબાબા આશ્રમ છે ત્યાં રહેવા તેમજ જમવાની સગવડ મળી રહે છે. પહેલા તો ત્યાં મફત
સેવા મળતી પણ હવે વ્યક્તિ દીઠ 300 રૂપિયાનો ટોકન
ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત ગઢવાલ મંડલ વિકાસ નિગમનું ગેસ્ટહાઉસ પણ છે ત્યાં
રહેવા માટે ગંગોત્રીથી જ મંજૂરી લેવી પડે છે.
બીજા દિવસે સવારે ભોજબાસાથી ચાર કિલોમિટર
ચાલીને ગોમુખ પહોંચી શકાય છે. વળતી મુસાફરીમાં મોટે ભાગે ઊતરાઈ જ હોવાથી આરામથી
પાછા ગંગોત્રી આવી શકાય. પણ જો એમ ન કરવું હોય તો તે દિવસે પણ ભોજબાસામાં રોકાઈ
જવું. હું બે વાર એક જ દિવસમાં ગંગોત્રીથી ગોમુખ જઈ પરત આવી ગયેલ છું પણ એમ કરવું
બધા માટે હિતાવહ નથી.
![]() |
શિવલીંગ પર્વત |
ગોમુખ એક દુર્ગમ જગ્યા છે અને સારી એવી
ઊંચાઈ પર હોવાથી ત્યાં જવા માટે કેટલીક તૈયારી રાખવી જરૂરી છે, વરસાદ લગભગ નિયમિત પડે છે, બરફવર્ષા અને કરાવર્ષા થવાની શક્યતા પણ રહે એટલે
યાત્રીએ રેઈનકોટ લઈને જ જવું. ભોજબાસા અને ગોમુખમાં રાત્રે તાપમાન શૂન્ય થઈ જતું
હોવાથી ભયંકર ઠંડી પડે છે એટલે પૂરતા ગરમ કપડા સાથે રાખવા. ચાલવામાં લાકડી ખૂબ
અનુકૂળ આવે છે એટલે ગંગોત્રીથી જ એ લઈ સાથે લેવી, હળવો નાસ્તો, ચોકલેટ, પિપરમેન્ટ, ફળ અને જરૂરી દવાઓ પણ લેવી,
ORS પાવડર અહીં ખૂબ ઉપયોગી
થાય છે ઉપરાંત ગ્લુકોઝ પાવડર પણ સાથે રાખવો, પાણીની બોટલ પણ ભરેલી રાખવી.
ગોમુખની મુસાફરી થોડી કઠણ હોવાથી બને તો સાવ
નાના બાળકો સાથે ન જવું. અને આ યાત્રા માટે અગાઉથી જ તૈયારી રાખી હોય તો ભારે
સરળતા રહે છે. જો તમારે ગોમુખ જવું હોય તો એક મહિના પહેલા રોજ ચાર પાંચ કિલોમિટર
ઝડપથી ચાલવાની પ્રેકટીશ ચાલું કરી દો આ આદત તમને આ ટ્રેકિંગમાં ખૂબ ફાયદો કરશે.
ગંગોત્રીથી ભોજબાસા સુધી રસ્તામાં ક્યાંય
રહી શકાય તેવું ઠેકાણું આવતું નથી એટલે વહેલી સવારે જ પ્રવાસનો આરંભ કરી દેવો ખૂબ
જરૂરી છે, રસ્તામાં જો
અંધારું થઈ જશે તો દુર્ગમ રસ્તે ચાલવું ખૂબ મુશ્કેલ છે એ ખાસ યાદ રાખવું.
![]() |
ગોમુખ મારા 2005નાં પ્રવાસ સમયે |
શરૂઆતમાં દેવદારનું ભવ્ય જંગલ આવશે, જેમ તમે
ઉપર ચડતા જશો તેમ જંગલ ઓછું થઈને પછી ભોજપત્રનાં વૃક્ષો આવશે. આ ભોજપત્રની છાલ પર
જ આપણા પ્રાચીન ગ્રંથો લખાયા છે એ તો આપ જાણતા જ હશો. આગળ જતા તો જંગલ સાવ નાબૂદ
થઈને માત્ર દુર્ગમ પહાડો જ જોવા મળશે. અહીં તમે બરફ મઢેલી વિરાટ પર્વતમાળા જોઈને
આશ્ચર્યચકિત થઈ જશો. ભગીરથ, શિવલિંગ, મેરુ, ભૃગુપંથ, હનુમાન ટીબા
ઉપરાંત બીજા અનેક પર્વતો જોઈને અંતરમાં એક ધન્યતાની લાગણી ન થાય તો જ નવાઈ. નજર
સચેત રાખશો તો અનેક પંખીઓ અને ભોરાલ કહેવાતા જંગલી ઘેંટા અને બકરાનાં ટોળા પણ
દેખાશે. નસીબ હશે તો રીંછ કે હિમ દીપડો પણ દેખાઈ જશે !
![]() |
ગોમુખ 2013માં |
ગંગોત્રી હિમનદી ચોખંભા પર્વત પરથી ઊતરે છે,
આ હિમનદી લગભગ 30 કિમી લાંબી છે તેનો છેડો એટલે ગોમુખ ! ગંગા
ત્યાંથી પ્રગટ થાય છે એટલે આપણા પુરાણોમાં પણ તેની યાત્રાનું મોટું મહાત્મ્ય
કરવામાં આવ્યું છે. અને જે લોકો પ્રકૃતિપ્રેમી છે તેમને માટે તો અહીં આનંદ આનંદ જ
છે.
ગોમુખ કે કોઈ પણ પ્રાકૃતિક સ્થાનની સ્વચ્છતા
અને તેને પ્રદુષણ મુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે એ યાદ રાખીને ગમે
ત્યાં કચરો ફગાવવાને બદલે તે સાથે જ લઈ લેવો, તે જરાય ભાર નહી કરે. તેનો યોગ્ય
જગ્યાએ જ નિકાલ કરવો એ તો કહેવાનું ન જ હોય. અને એક વાત યાદ રાખજો જોખમોનાં ગમે તેવા ભયંકર
વર્ણનોથી ગભરાશો નહી, આ ટ્રેકિંગ એટલું બધું આકરું નથી. તક મળે તો જરૂર જશો.
હું દસથી વધારે વખત ગોમુખ અને તેનાથી પણ આગળ
ગયો છું. ગોમુખથી પણ આગળ તપોવન અને નંદનવન નામની સુંદર જગ્યાઓ છે તેની વિગતો
ક્યારેક આપીશ.
આ બધા લેખો ફેસબુક માટે ટૂંકમાં લખેલા
હોવાથી બધી વિગતો તો સમાવી નથી શકાઈ.
-હસમુખ જોષી.
વાહ ખરેખર મજા આવી ગઈ...ઘરે બેઠા બેઠા જ તમે માં ગંગોત્રી અને ગૌમુખનો પ્રવાસ કરવી દીધો. તમારું લખાણ અને માં ગંગાનું પવિત્ર વર્ણન વાંચી મનની થી આ યાત્રા કરવાનો પાક્કો નિણર્ય કર્યો છે. હિમાલયનું સ્ફૂર્તિમય પવિત્ર વાતાવરણ...સાથે માં ગંગાનો પવિત્ર કિનારો અને એમાં પણ દેવદારના વૃક્ષ બર્ફીલા પહાડ અને હરિયાળી વાળા મેદાનો ખરેખર આટલો પ્રાકૃતિક વૈભવ તો હિમાલયમાં જ જોવા મળે.
ReplyDelete