પંચકેદાર


  પંચકેદાર

     હિમાલયનું નામ સાંભળતા જ ચાર ધામની યાત્રા, પંચકેદાર, પંચપ્રયાગ અને સપ્તબદરી સહિત અનેક પુરાણ કથાઓ યાદ આવી જ જાય. આપણા પુરાણોમાં તો સમસ્ત હિમાલયને જ શિવસ્વરૂપ કહેવામાં આવે છે. ઊંચા ઊંચા પહાડોને તેની જટા અને તેમાંથી નીસરતી નદીઓને સ્વર્ગથી ઊતરતી ગંગા સમાન માનવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. હિમાલય માત્ર શ્રદ્ધાની દ્રષ્ટીએ જ નહી પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યની નજરે જોઈએ તો પણ અજોડ છે.        
      હિમાલયમાં શિવમંદિરોનો મહિમા ખૂબ જ મોટો છે, લગભગ દરેક ગામમાં એકાદ શિવમંદિર જોવા મળે જ છે. ગઢવાલ અને કુમાઉં વિસ્તારનાં શિવ મંદિરોની યાદી તો ખૂબ મોટી છે. પણ તેમાં પંચકેદારનું માહાત્મ્ય ખૂબ છે. ગઢવાલી લોકોમાં એક માન્યતા છે કે જીવનમાં એક વાર તો પંચકેદારની યાત્રા કરવી જ જોઈએ. હિમાલયનું અવર્ણનીય સૌંદર્ય અહીં પથરાયું છે. મેં આ યાત્રા બે વાર જુદા જુદા માંગે કરી છે એટલે એ વિસ્તારોનો સારો અનુભવ છે. આજે આ માર્ગદર્શન આપવાનો હેતુ એટલો કે ગુજરાતી ભાષામાં આવી માહિતીની ખોટ છે અને બીજું કે યુવાનોને ત્યાં જવાની પ્રેરણા મળશે, કેમ કે આ માત્ર ધર્મયાત્રા નથી પણ હિમાલયને જાણવા ઓળખવાની અને સાહસને પ્રેરણા આપતી યાત્રા પણ છે. અહીં યાત્રાવર્ણન આપવાનો ઇરાદો નથી એટલે માત્ર રસ્તા વિશે માહિતી જ આપી છે.
     પંચકેદાર એટલે પાંચ કેદાર, જેમાં કેદારનાથ મુખ્ય છે, પછી મધ્યમહેશ્વર, તુંગનાથ, રૂદ્રનાથ, અને કલ્પેશ્વર ગણાય છે,  આ પાંચે સ્થાનો એક બીજાથી દૂર આવેલા છે અને કેટલાક સ્થાનોએ પહોંચવું થોડું અઘરું છે. મોટાભાગનાં લોકો પહાડો અને આકરા ચડાણોથી ગભરાતા નથી પણ તેમની મૂંઝવણ રસ્તા બાબત જ હોય છે, આ લેખોમાંથી તેઓને રસ્તા બાબત પ્રશ્ન નહી રહે. પંચકેદારની યાત્રા એટલે જીવનનું સાર્થક્ય.
     પુરાણકથા અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવો શિવજીનાં દર્શને નીકળ્યા, પણ શિવજી તેમની પરીક્ષા કરવા માગતા હોય પાડાનું સ્વરૂપ ધરીને જે તે સ્થાને છુપાયા. એ કારણે પંચકેદારમાં તેમના જુદા જુદા અંગસ્વરૂપ લિંગની પૂજા થાય છે. દરેક સ્થાનો પુરાણપ્રસિદ્ધ છે. લેખની શરૂઆત કેદારનાથથી કરીએ.
શ્રી કેદારનાથ મંદિર, 2012માં.
પંચકેદારનો નકશો, (ફક્ત સ્થાન સમજવા માટે)


કેદારનાથ.

કેદારનાથ તો વિશ્વપ્રસિદ્ધ છે, તેની માહિતી તો દરેક જગ્યાએ મળી જ રહે, છતાં ટૂંકમાં આપું છું.
     કેદારનાથ શિયાળાનાં છ મહિના બરફને કારણે બંધ રહ્યા બાદ તેનાં દ્વાર અખાત્રીજ કે તે પછી દસેક દિવસ બાદ ખૂલે છે, એટલે કે મે મહિનામાં ખૂલી જાય છે. ત્યારથી માંડી દિવાળી સુધી એટલે કે ઑક્ટોબર સુધી તેની યાત્રા થઈ શકે છે. કેદારનાથ જવા માટેનો બેજકેમ્પ સોનપ્રયાગ છે,  ત્યાં જતાં પહેલા ગુપ્તકાશી આવે છે, ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે તે જોવા લાયક છે.
ગુપ્તકાશીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર.
     સોનપ્રયાગથી ચાર કિલોમિટર ગૌરીકુંડ સુધી જીપમાં જઈ શકાય છે. 2013 ની પૂર હોનારત પછી દરેક યાત્રી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, આ રજિસ્ટ્રેશન સોનપ્રયાગમાં થાય છે અને મફત છે. ગુપ્તકાશીમાં પણ એ કરાવી શકાય. આઈડી કાર્ડ અને ઝેરોક્ષ સાથે રાખવા. જો તમારે ઘોડા, ખચ્ચર કે ડોળીમાં જવું હોય તો તેની વ્યવસ્થા સોનપ્રયાગ અથવા ગૌરીકુંડમાં થઈ શકે છે. હેલિકૉપ્ટરમાં છેક સુધી જઈ શકાય છે, હેલિકૉપ્ટર ફાટાગામ પાસેથી ઊપડે છે. ગૌરીકુંડમાં ગરમ પાણીનાં કુંડ અને પ્રાચીન ગૌરીમંદિર છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રાત્રી રોકાણની સારી વ્યવસ્થા છે.
પૂર હોનારત પછી કેદારનાથ, 2015માં.
કેદારનાથ જવાનો જૂનો માર્ગ.
     ગૌરીકુંડથી કેદારનાથ સોળ કિમી. ચાલવાનું થાય છે. વચ્ચે રામવાડા કૅમ્પ સાઇટ આવે છે. કેદારનાથમાં રોકાણ માટેની વ્યવસ્થા છે. રસ્તામાં દુકાનોમાં બધું મળી રહે છે. કેદારનાથ આશરે બાર હજાર ફૂટની ઊંચાઈ પર હોવાથી ઠંડી ખૂબ પડે છે અને વરસાદની પણ શક્યતા હોવાથી ગરમ કપડાં અને રેઈનકોટ સાથે રાખવા જરૂરી છે. કેદારનાથથી ચાર કિમી. ઉપર ચોરાબારી તાલ (સરોવર) આવેલ છે. અને આઠ કિમી. પશ્ચિમે વાસુકીતાલ છે. ચોરાબારી તાલ આસાનીથી જઈ પરત આવી શકાય પણ વાસુકીતાલ થોડું અઘરું છે. ત્યાં તૈયારી વગર જવું જોખમી છે. કેદારનાથ ધામથી આગળ ભૈરવનાથનું સ્થાનક અને ભૈરવઘાટી છે ત્યાં પણ સમય હોય તો જઈ શકાય. કેદારનાથમાં આદિ શંકરાચાર્યજીનું સમાધિસ્થાન પણ આવેલું છે.
    કેદારનાથ મંદાકિની નદીનાં કિનારે આવેલ છે, ઉપર કેદારપર્વતમાંથી તે નદી નીકળે છે અને આગળ જતાં રૂદ્રપ્રયાગમાં તે અલકનંદાને મળે છે. વાતાવરણ ચોખ્ખું હશે તો અહીં તમે કેદારપર્વત અને સુમેરુ શિખરનાં સુંદર દર્શન કરી શકશો. અહીંના મેદાનોમાં અનેક દુર્લભ જડીબુટ્ટી મળે છે, અને કસ્તુરી મૃગ જેવા સુંદર પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીં ઠંડી ખૂબ પડતી હોવાથી ગરમ કપડાં સાથે રાખવા અને રેઈનકોટ પણ ખૂબ જરૂરી છે.
     સોનપ્રયાગથી એક રસ્તો ત્રિયુગીનારાયણ જાય છે, તે પણ ખૂબ પ્રસિદ્ધ તીર્થ છે, કહેવાય છે કે આ જગ્યાએ શિવ પાર્વતીનો વિવાહ થયો હતો. જીપમાં ત્યાં જઈ શકાય છે અંતર લગભગ બાર કિલોમિટર છે.
ત્રિયુગીનારાયણ મંદિર.
     કેદારનાથ પહોંચવા માટે હરિદ્વારથી અને ઋષિકેશથી રોજ બસ મળે છે. તે દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ અને ગુપ્તકાશી થઈને સોનપ્રયાગ પહોંચાડે છે. જો સીધી બસ ન મળે તો આમાંથી કોઈ પણ શહેરનું વાહન મેળવીને તમે જઈ શકો, ત્યાંથી જીપ મળતી રહે છે.

મધ્યમહેશ્વર.

બીજા કેદાર મધ્યમહેશ્વર ગણાય છે, ત્યાં કઈ રીતે પહોંચી શકાય તે જોઈએ.
     મધ્યમહેશ્વરનો રસ્તો એટલે જાણે હિમાલયમાં પથરાયેલા સ્વર્ગનું પ્રત્યક્ષ દર્શન ! મંદિરો, રમકડા જેવા નાના નાના ગામડાં, ઊંચા ઊંચા પહાડો, ગાઢ જંગલો, ઘૂઘવતી પહાડી નદીઓ, કલકલ કરતાં ઝરણા, રંગબેરંગી પંખીઓ, ફૂલોની વિવિધતા, ઊંચેથી પડતા ધોધ, ગગનચુંબી હિમશિખરો, લીલાછમ ઘાસનાં મેદાનો અને બેશક શાંત અને દિવ્ય પરિવેશ. આ બધું અહીં એક જગ્યાએ માણી શકાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
મધ્યમહેશ્વરની પગદંડી.
      આમ તો પંચકેદારમાં મધ્યમહેશ્વર એ ચોથા કેદાર કહેવાય છે પણ રસ્તાનાં સંદર્ભમાં જોઈએ તો કેદારનાથ પછી તેની યાત્રા નજીક પડે છે. એટલે પહેલા તેનો પરિચય કરીએ.
     મધ્યમહેશ્વર પહોંચવાનાં ત્રણ રસ્તા છે. એક રસ્તો કેદારનાથથી સીધો જ દુર્ગમ પહાડોમાં થઈને બારોબાર મધ્યમહેશ્વર પહોંચાડે છે પણ ત્યાં તો અડીખમ અનુભવી ટ્રેકરો જ ચાલી શકે છે એટલે તે રસ્તો છોડી દઈએ !
     બીજો રસ્તો ગુપ્તકાશી થઈને વાહનમાં કાલીમઠ અને ત્યાંથી પગપાળા મંદાકિની નદી ઓળંગીને રાંસી ગામ તરફ જાય છે. ત્યાં ચાલવાનું વધારે થાય છે એટલે એ પણ આપણા કામનો નહી. હા, કાલીમઠ એક સુંદર જગ્યા છે અને અહીં માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે એ જાણ ખાતર.
     ત્રીજો અને સરળ રસ્તો આપણા કામનો છે એ જોઈએ. કેદારનાથનાં દર્શન કરીને તમે પાછા ગુપ્તકાશી આવશો. ત્યાંથી મંદાકિની નદીનાં સામે પાર ઉખીમઠ દેખાય છે ત્યાં વાહન દ્વારા પહોચી શકશો. ઉખીમઠ એક પવિત્ર સ્થાન છે, કેદારનાથ અને મધ્યમહેશ્વર મંદિરનાં દ્વાર શિયાળામાં બંધ થાય છે ત્યારે તેની પૂજા છ મહિના સુધી અહીંનાં પ્રસિદ્ધ મંદિરમાં થાય છે એટલે દર્શન કરવાનું ભૂલશો નહી. ગુપ્તકાશી અને ઉખીમઠ સુધી તમે ઋષિકેશથી સીધી બસ દ્વારા પણ પહોંચી શકો છો.
ઉખીમઠનું શિવ મંદિર.
     ઉખીમઠથી વીસ કિલોમિટર દૂર રાંસી ગામ સુધી વાહન રસ્તો છે, આખો દિવસ જીપો ચાલતી હોય છે. રાંસી નાનકડું પણ સુંદર ગામ છે. અહીં રહેવા જમવાની સગવડ મળી રહે છે. ગામમાં રાકેશ્વરી માતાજીનું સુંદર પ્રાચીન મંદિર છે.
રાકેશ્વરી માતાનું મંદિર, રાંસી.
     રાંસી ગામે પહોંચી ગયા, અહીંથી મધ્યમહેશ્વર 19 કિલોમિટર દૂર છે. હવે ગરમ કપડાં, રેઈનકોટ અને થોડીઘણી ખાવાપીવાની સામગ્રી સાથે હિમાલયનાં અવર્ણનીય સૌંદર્યલોકમાં ચાલવા માટે તૈયાર રહો !
     રાંસીગામથી ટ્રેક ચાલું થાય છે. છ કિલોમિટર દૂર ગૌંદાર ગામ છે ત્યાં સુધી સરળ અને કંઈક લેવલ રસ્તો છે, સામાન્ય ચડ ઊતર આવશે. મધ્યમહેશ્વરગંગા નદી નીચે ખીણમાં વહેતી હશે, સુંદર જંગલમાં રળિયામણી પગદંડી પર ચાલતા તમે થાકવાનું પણ ભૂલી જશો !
     ગૌંદાર ગામ નાનકડું છે પણ ત્યાં રહેવા જમવાની સગવડ મળે છે એટલે થાક્યા હોઈએ કે દિવસ વધારે રહ્યો ન હોય તો રોકાઈ જવાનો વાંધો નહી. અહીંથી બે કિમી. દૂર બન્તોલી ગામ છે, ત્યાં પણ સગવડ મળે છે. બન્તોલી ગામે પહોંચો એટલે ચડાઈ માટે તૈયાર રહેવું કેમ કે મધ્યમહેશ્વરની ખરેખરી ચડાઈ ત્યાંથી જ મંડાય છે ! આગળ જતાં બે કિમી. દૂર ખાટરાખાલ નામની જગ્યા આવશે. ત્યાં પણ ભોજન ચા પાણીની વ્યવસ્થા મળશે. તેનાથી આગળ બે કિમી. જતાં નાનુ ગામ આવશે. નાનુ એટલે નાનકડું નહી પણ ગામનું નામ જ નાનુ છે ! જો કે થોડા ઝૂંપડાની વસાહત છે છતાં અહીં રહેવા જમવાની સગવડ મળે છે અને મોટાભાગનાં યાત્રીઓ અહીં જ રાતવાસો કરે છે. ગયા વરસે મેં અને મારા મિત્ર ભાનુભાઈએ રાંસીગામથી વહેલી સવારે પાંચ વાગ્યે ચાલવાનું ચાલું કર્યું હતું અને સાંજે છ વાગ્યે વરસતા વરસાદમાં મધ્યમહેશ્વર પહોંચી ગયા હતાં. હું તો ઠીક પણ ભાનુભાઈની ઉંમર 61 વરસ છે ! રસ્તાનો ખ્યાલ આવે અને વચ્ચે રોકાવું કે કેમ એ નક્કી કરી શકો એટલે આ વાત લખું છું.
     નાનુ ગામથી આગળ ત્રણ કિમી. ચાલતા માલખમ્બા નામની જગ્યાએ નાસ્તા પાણી કરી શકાય છે. ત્યાંથી ફક્ત ચાર કિલોમિટર ચાલશો એટલે મધ્યમહેશ્વર પ્રભુનાં ચરણે પહોંચી જશો.
શ્રી મધ્યમહેશ્વર મંદિર.
     સુંદર મેદાનમાં પ્રાચીન મંદિર ઊભું છે, એકદમ શાંત અને મનભાવન જગ્યા છે. અહીં રોકાવાની જમવાની સગવડ મળી રહે છે. મન પ્રસન્ન થઈ જાય એવો પરિવેશ. બહુ ઓછા યાત્રી આવતા હોવાથી એકદમ શાંત જગ્યા. અહીંથી ઉપર બે કિમી. દૂર બુઢ્ઢા મધ્યમહેશ્વર છે ત્યાં કોઈ મંદિર નથી નાનકડી દેરી જ છે, પણ સ્તબ્ધ કરી દે એવું સૌંદર્ય ત્યાં જોવા મળે છે. હિમપર્વતોની વિરાટ શ્રેણી, મોનાલ જેવા અત્યંત સુંદર પંખી ત્યાં દેખાશે એટલે જવાનું ભૂલશો નહી. અહીંથી સોળ કિમી. દૂર દુર્ગમ ટ્રેક કરીને કાંચાની સરોવર પહોંચી શકાય છે પણ એ માટે તો મોટી તૈયારી કરીને જવું પડે.
બુઢા મધ્યમહેશ્વર બુગ્યાલ.
     મધ્યમહેશ્વર ધામ પણ શિયાળામાં બંધ થઈ જાય છે અને તેની પૂજા ઉખીમઠમાં થાય છે. કેદારનાથ ખૂલ્યા પછી લગભગ દસ પંદર દિવસ પછી આ ધામ ખૂલે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. ગયા વરસે અમે ગયા ત્યારે રાંસી ગામથી આગળ સડક બનાવવાનું કામ ચાલું હતું એટલે હવે કદાચ આગળ સુધી રસ્તો બન્યો હશે. તે જાણી લેવું. હું બે વાર મધ્યમહેશ્વર ગયો છું એકવાર દુર્ગમ રસ્તે અને બીજીવાર સરળ રસ્તે. અમારી ગયા વરસની યાત્રા વેળાનાં એક પ્રસંગને આલેખતો મારો એક લેખ `કુમાર´ સામયિકમાં છપાયો હતો જે ટૂંક સમયમાં જ બ્લોગ ઉપર મૂકીશ.

તુંગનાથ.

        ત્રીજા કેદાર તુંગનાથ બાર હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર હોવા છતાં ત્યાં પહોંચવું સરળ છે, કેમ કે ત્યાં માત્ર ત્રણ કિલોમિટર જ ચાલવાનું રહે છે. આ માટે તમારે ચોપતા ગામ જવાનું રહેશે. વિગતો જોઈએ.
     ચોપતા અને તુંગનાથનો વિસ્તાર તો અહીંનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે એટલે તેનાં અપ્રતિમ સૌંદર્યની તો વાત જ શી કરવી ? કાશ્મીર ન જઈ શકતા મિત્રો અહીં તેની અનુભૂતિ કરી શકે છે, બર્ડવોચરો માટે તો અહીં સ્વર્ગ છે અને શ્રદ્ધાળુઓ માટે જીવનનું સાર્થક્ય, કેમ કે તુંગનાથ એ હિંદુ ધર્મનું સૌથી વધુ ઊંચાઈએ આવેલ સ્થાન ગણાય છે, પ્રકૃતિપ્રેમીઓ માટે તો આનંદનો ખજાનો, કેમ કે અહીં જે છે તે બીજે ભાગ્યે મળે !
ચોપતાથી તુંગનાથ જતો સુંદર રસ્તો.
     આપણા માટે હવે ગુપ્તકાશી અને ઉખીમઠ અજાણ્યાં નથી. ઉખીમઠથી એક રસ્તો મધ્યમહેશ્વર તરફ જાય છે તો બીજો રસ્તો ગોપેશ્વર તરફ જાય છે, ગોપેશ્વરનાં માર્ગે ચોપતા લગભગ 35 કિમી. દૂર છે. ત્યાં બસ કે જીપ દ્વારા પહોંચી શકાય છે. (જૂની પગદંડી પણ છે, હું એકવાર ત્યાં ચાલીને પણ ગયો હતો) ચોપતા પહોંચી ગયા એટલે તુંગનાથ પહોંચી ગયા એમ સમજો કેમ કે ચોપતાથી તુંગનાથ ફક્ત ત્રણ કિલોમિટર દૂર છે અને રસ્તો સરસ બાંધેલો આરામદાયક છે, ચડાઈની ખબર પણ પડે તેમ નથી. છતાં ઇચ્છો તો ઘોડા કે ખચ્ચર પર પણ જઈ શકો. ચોપતામાં રહેવા જમવાની સગવડ મળી રહે છે. પ્રવાસીઓ ખૂબ આવતા હોવાથી થોડું મોંઘું છે ખરું.
શ્રી તુંગનાથ મંદિર.
     તુંગનાથમાં મહાદેવનું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે, ખૂબ જ શાંત અને પવિત્ર સ્થાન છે. અહીં નાનકડી ધર્મશાળા પણ છે. થોડી દુકાનોમાં પૂજાની સામગ્રી તેમ જ ભોજન નાસ્તો મળી રહે છે.
     તુંગનાથથી પણ ઉપર એક કિલોમીટરની ચડાઈ પછી ચંદ્રશિલા નામની ખૂબ જ સુંદર જગ્યાએ પહોંચી શકાય છે. તુંગનાથ પહાડનું એ શિખર છે, મોટાભાગનાં યાત્રી ત્યાં જતા નથી અને જીવનનો એક મોટો લહાવો ખોઈ નાખે છે. પ્રકૃતિનું અનુપમ કાવ્ય અહીં અનુભવી શકાય છે. વિસ્તૃત મેદાનો, ઉત્તર અને પૂર્વ ક્ષિતિજ પર તમે આખો હિમાલય જાણે જોઈ શકો, અહીંથી યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથનાં હિમ શિખરો જોઈ શકાય છે, નંદાદેવી ત્રિશુલ જેવા પ્રસિદ્ધ શિખરો પણ દેખાય છે. શરત એટલી કે વાતાવરણ સાફ હોવું જોઈએ અને શિખરો ઓળખાવનાર કોઈ જાણકાર સાથે જોઈએ.
તુંગનાથનાં શિખરે આવેલ ચંદ્રશિલા મંદિર
     તુંગનાથ અને ચંદ્રશિલા જઈને સાંજે પાછા આવી શકાય છે, ઊતરતી વેળા એના એ રસ્તે પાછા આવવાને બદલે પાછળની બાજુથી જૂની પગદંડીનાં રસ્તે ઊતરશો તો મજા આવશે. એ રસ્તો તમને ચોપતા-ગોપેશ્વર સડક પર ઊતારશે, ત્યાંથી સડકે બે કિલોમિટર ચાલીને પાછા ચોપતા પહોંચી શકાશે. થોડું લાબું પડશે પણ ભારે મજા આવશે.
      તુંગનાથ અને ચંદ્રશિલાની ઊંચાઈ કેદારનાથ કરતા પણ વધુ છે, એટલે કે બાર હજાર ફૂટથી વધુ છે એટલે ઠંડી ખૂબ પડે છે. તુંગનાથ પણ કેદારનાથ ખૂલ્યા પછી દસેક દિવસ બાદ ખૂલે છે, શિયાળામાં તેની પૂજા નીચે આવેલ મકૂમઠ નામના એક ગામમાં થાય છે. આ ટ્રેક શિયાળામાં પણ થઈ શકે છે, આખો પહાડ ત્યારે બરફ નીચે ઢંકાયો હોય છે.
     અહીં મોનાલ જેવા અત્યંત સુંદર પંખી જોવાની તક પણ મળે છે. સતર્ક નજર રાખીને નિરીક્ષણ કરશો તો એ પંખી જરૂર દેખાશે. મોનાલ એ ઉત્તરાખંડનું રાજ પંખી છે. ઉપરાંત હિમાલયન થાર, કસ્તુરી મૃગ પણ જોવા મળી જાય ખરા.
આશ્ચર્યજનક રંગો ધરાવતું પંખી મોનાલ
     ચોપતા પહોંચવા માટે ગોપેશ્વરથી પણ જઈ શકાય છે પણ મારો અનુભવ કહે છે કે ત્યાંથી વાહનો ઓછા મળે છે, પોતાનું વાહન હોય તો જ ત્યાંથી ચોપતા જવું. ગોપેશ્વરથી પણ ચોપતા લગભગ 35 કિમી. થાય છે. ચોપતા અને તુંગનાથ ખૂબ જ પ્રસિદ્ધ સ્થાન છે. અને હિમાલયની ખરેખરી અનુભૂતિ કરાવે એવા છે એટલે એકવાર તો ત્યાં જવું જ જોઈએ. જે લોકોને પંચકેદાર ન કરવા હોય અને માત્ર ચાર ધામ જવાનું હોય તેમના પણ માર્ગમાં જ આવે છે એટલે આ સ્થળે દર્શન કરવાનું ભૂલવું નહી.

રૂદ્રનાથ.

      પંચકેદારમાં સૌથી કઠણ અને દુર્ગમ યાત્રા રૂદ્રનાથ મહાદેવની ગણાય છે, અહીં લગભગ સાડા બાર હજાર ફૂટથી વધારે ઊંચાઈનો પહાડ ચડવો પડે છે પણ એ કારણે જ હિમાલયની અત્યંત પાવન અનુભૂતિ થઈ શકે છે. ઊંચાઈ હોવા છતાં ચડાણ કઠણ નથી. યાત્રી ધીરજ અને શાંતિથી આરામ કરતો કરતો ચાલતો રહે એટલે આરામથી આ યાત્રા બે કે ત્રણ દિવસમાં થઈ શકે છે.
     રૂદ્રનાથ પહોંચવાનાં પણ ત્રણ માર્ગ છે, તેમાંથી પરંપરાગત અને સરળ માર્ગની માહિતી આપું છું, વાચકો માટે હવે ચોપતા અને તુંગનાથ અજાણ્યા નથી. ચોપતાથી ગોપેશ્વર જતી સડક પર સાગર ગામ આવે છે ત્યાંથી રૂદ્રનાથની ચડાઈનો પ્રારંભ થાય છે. સાગર ગામ ગોપેશ્વરથી માત્ર ચાર કિલોમિટર દૂર છે એટલે ગોપેશ્વરથી પણ ત્યાં જઈ શકાય છે. ઋષિકેશથી સીધા ગોપેશ્વર પણ પહોંચી શકાય છે.
પુંગ બુગ્યાલ, રૂદ્રનાથનાં માર્ગે
     સાગરથી લગભગ ત્રણ કિમી ચડશો એટલે પુંગ બુગ્યાલ નામનું નાનું મેદાન આવશે, અહીં ચા ભોજન મળી શકશે. નાનું ઝરણું વહે છે. અહીંથી પાણી ભરી લેવું.
     પુંગ બુગ્યાલથી લગભગ પાંચ કિમીની ચડાઈ કરીને તમે લાતી બુગ્યાલ પહોંચશો. ત્યાં પણ રહેવા જમવાની સગવડ મળશે. રસ્તામાં ગાઢ જંગલ અને સાવ પ્રાથમિક કક્ષાનો રસ્તો છે, પાણીની થોડી તંગી એટલે પાણીનો સ્ટોક રાખવો. રસ્તામાં મોઈખલ નામની જગ્યા આવશે ત્યાં પણ ઝૂંપડા છે. પૂરો રસ્તો સતત ચડાઈનો છે.
લાતી બુગ્યાલથી ચાર કિલોમીટરની ચડાઈ ચડીને તમે પનાર બુગ્યાલ પહોંચશો. ત્યાં રહેવા જમવાનું મળશે. મોટાભાગનાં યાત્રી અહીં રાતવાસો કરે છે. અદ્ભુત જગ્યા, નજર પડે ત્યાં સુધી લીલાછમ ઢોળાવો, ક્ષિતિજ પર હિમશિખરોની હરોળ દેખાય છે તેમાં નંદાદેવી સહિત અનેક પ્રસિદ્ધ શિખરો દેખી શકાય છે. હિમાલયનો ખરેખરી અનુભૂતિ થઈ શકે છે.
પનાર બુગ્યાલનો મનમોહક દેખાવ.
પનાર બુગ્યાલથી પિત્રાધાર લગભગ ત્રણ કિલોમીટરની ચડાઈ છે. અહીં માત્ર પહાડ શિખર જ છે, કંઈ મળતું નથી, પાણીની સગવડ સાથે રાખવી. ઊંચાઈ લગભગ સાડા બાર હજાર ફૂટ અને સતત ચડાઈ છે.
રૂદ્રનાથનો દૂર્ગમ માર્ગ
     પિત્રાધારથી પંચગંગા એક કિલોમીટરની ઊતરાઈ. પંચગંગામાં રહેવા જમવાની સગવડ છે. અહીં અનેક ઝરણા વહે છે.
પંચગંગાથી રૂદ્રનાથ ચાર કિલોમિટર દૂર છે અને રસ્તો સામાન્ય ચડાઈ ઊતરાઈનો છે.
દેવદેખણીની જગ્યાએથી રૂદ્રનાથનો દેખાવ.

રૂદ્રનાથ મહાદેવ મંદિર.

     રૂદ્રનાથ મહાદેવ મંદિરમાં નહી પણ એક ગુફામાં બિરાજે છે, તેમાં સતત પાણી ટપકતું રહે છે. અહીં કેટલાક કુંડ પણ છે, વૈતરણી અથવા રૂદ્રગંગા નદી વહે છે. સાવ સાંકડી જગ્યા અને સગવડો પણ સાવ સામાન્ય છતાં રાતવાસો થઈ શકે છે. બને તો પરત પંચગંગા સુધી આવી જવું. ખૂબ જ સુંદર પરિવેશ, અહીં પહોંચ્યા પછી જીવન સાર્થક લાગે છે. સાગર ગામથી રૂદ્રનાથ કુલ એકવીસ કિલોમીટરનો ટ્રેક છે.
પનાર બુગ્યાલથી એક રસ્તો સીધો પાંચમાં કેદાર કલ્પેશ્વર જાય છે, તે લગભગ ચાલીસ કિમી ટ્રેક છે.
     પંચગંગા પાસે નાઓલા ઘાટ આવેલ છે તે ઓળંગીને ચોપતા-ગોપેશ્વર રોડ પર આવેલ મંડલ ગામે ઊતરી શકાય છે. અમે પાછા વળતા એ માર્ગ લીધો હતો. એકદમ રફટફ રસ્તો છે. અને ગાઈડની મદદ વગર જવા જેવું નથી. જો કે હું જાણકાર હોવાથી અમે કોઈ ગાઈડ વગર જ પહોંચી ગયા હતાં. એ રસ્તે પણ ધનપાલ બુગ્યાલ, હંસ બુગ્યાલ અને ગીચ જંગલ આવે છે. અને ઉત્તરાખંડનું પ્રસિદ્ધ અનસૂયા માતાજીનું મંદિર પણ અહીં આવેલ છે. અનસૂયાથી મંડલ પાંચ કીમીનો એકદમ સરળ અને સરસ બાંધેલો માર્ગ છે. ખૂબ જ સુંદર અને શાંત સ્થળ છે, બર્ડવોચરો માટે તો અહીં પંખીઓની ખાણ છે, અહીંથી રૂદ્રનાથ ફક્ત સત્તર કિમી છે પણ ખડી ચડાઈ છે, રસ્તામાં પંચગંગા સુધી કંઈ મળતું નથી કે કોઈ વસ્તી પણ નથી. એટલે વિચાર કરીને જવું. અને ગાઈડ વગર જવાની સલાહ હું આપતો નથી.
અનસૂયામાતા મંદિર, અનસૂયા, મંડલ
     ઉપર કહ્યો તે સાગર ગામ વાળો રસ્તો એકદમ સલામત છે, કોઈ બીક જેવું નથી. વરસાદ, બરફવર્ષા અને કરાવર્ષા તો હિમાલયનું એક અભિન્ન અંગ છે એ ગમે ત્યાં થઈ શકે, એનાથી ગભરાવાનું હોય જ નહી. જંગલી જનાવરોની બીક પણ એ રસ્તે નથી.
     રૂદ્રનાથ પણ કેદારનાથ ખૂલ્યા પછી લગભગ પંદર દિવસ પછી ખૂલે છે એ ધ્યાન રાખશો, શિયાળામાં રૂદ્રનાથની પૂજા ગોપેશ્વરનાં પ્રાચીન ગોપીનાથ મંદિરમાં થાય છે. ઉપર કહેલા ઉતારાનાં સ્થાનો કામચલાઉ ઝૂંપડીઓ જ છે એટલે તેમાં ફેરફાર થાય એ શક્ય છે. સાથે ગરમ કપડાં, રેઈનકોટ, પાણીની બોટલ, થોડી ઘણી ખાધાખોરાકી અને દવાઓ ભૂલશો નહી.

કલ્પેશ્વર.

     કેદારનાથ, મધ્યમહેશ્વર, તુંગનાથ અને રૂદ્રનાથ આ ચાર કેદાર પહોંચવું થોડું કઠણ છે એ આપણે આગળ જોયું. પણ કલ્પેશ્વરની યાત્રા સાવ સરળ કહી શકાય કેમ કે તે કોઈ પહાડ શિખરે નહી પણ ખીણમાં આવેલ છે. અને બારે મહિના દર્શન કરી શકાય છે. અલબત્ત પ્રાકૃતિક સૌંદર્યની બાબતમાં બીજા કેદાર કરતા જરા પણ ઊતરતું નથી એ કહેવું પડે.
     મનમોહક ઉરગમઘાટી, નાના નાના મજાનાં પહાડી ગામડાઓ અને તેમનું શાંત જીવન, ઢોળાવો પર પગથિયાં જેવા ખેતરો અને તેમાં લહેરાતી લીલોતરી, પહાડો પર ગાઢ વર્ષાજંગલો, કલ્પગંગા નદીની મનભાવન ખીણ, આ બધું જોતા તો અહીં જ વસી જવાનું મન થઈ જાય તો નવાઈ નહી...!
     કલ્પેશ્વર પહોંચવા માટે રૂદ્રનાથનાં અનુસંધાનમાં જોઈએ તો તમે પાછા સાગર ગામે આવશો અને ત્યાંથી ગોપેશ્વર પહોંચશો. ગોપેશ્વરથી દસ કિલોમિટર વાહનમાં ચમોલી પહોંચવાનું, ચમોલી બદરીનાથ હાઈવે પર આવેલું છે. ત્યાંથી તમને બદરીનાથ કે જોશીમઠ જવા માટેનાં અનેક વાહનો મળશે. ચમોલીથી લગભગ 35 કીમી દૂર હેલંગ ગામ આવેલું છે ત્યાં ઊતરી જવાનું. કલ્પેશ્વરનો રસ્તો ત્યાંથી જ અલગ પડે છે. અહીંથી તમને ઉરગમ ગામ સુધી જવા માટેની જીપ મળશે. ઉરગમ ગામ દસ કિમી દૂર છે. ઉરગમથી માત્ર અઢી કિમી દૂર કલ્પેશ્વર આવેલ છે. ઉરગમથી ચાલશો એટલે એક કિમી દૂર દેવગામ આવશે ત્યાં તમે રોકાવું હોય તો રોકાઈ શકો છો. અહીં કેટલાક ગેસ્ટહાઉસ આવેલા છે. અહીંથી એક દોઢ કિલોમિટર ચાલશો એટલે કલ્પેશ્વર પહોંચી જશો. રસ્તો એકદમ સરળ અને લગભગ લેવલ છે. ચડાઈ નથી. કલ્પગંગા નદીની સામે પાર કિનારાથી થોડી ઊંચાઈ પર કલ્પેશ્વર મહાદેવનું સ્થાન છે.
કલ્પેશ્વર મહાદેવ તરફ જતો સુંદર મારગ.
     ઋષિકેશથી કે હરિદ્વારથી પણ ચમોલી કે બદરીનાથની કોઈ પણ બસમાં તમે હેલંગ પહોંચી શકો છો. ઋષિકેશથી હેલંગ 250 કીમી દૂર છે. અથવા બદરીનાથથી પાછા વળતા પણ ત્યાં જઈ શકાય છે.
દૂરથી કલ્પેશ્વર ધામનો દેખાવ
     કલ્પેશ્વર પણ ગુફા મંદિર છે. શિવજીનું લિંગ ગુફામાં છે. સાવ નાનકડું સ્થાન. અહીં ઝૂલા પુલ હતો તે 2013નાં પૂર વખતે ધોવાઈ ગયો હોવાથી અત્યારે નવો પુલ બનાવવાનું કામ ચાલે છે કદાચ બની ગયો હશે. લાકડાનો કામચલાઉ પુલ અત્યારે કામ આપે છે.
શ્રી કલ્પેશ્વર મહાદેવ.
    દેવગામથી એક રસ્તો સીધો રૂદ્રનાથ પહોંચાડે છે. (જુઓ રૂદ્રનાથનું પ્રકરણ) ઉરગમ ગામમાં એક ધ્યાનબદરીનું મંદિર છે જે સપ્તબદરીમાં ગણાય છે. (બદરીનાથનાં પણ સાત મંદિરો અલગ અલગ સ્થાને છે, જેની વાત ક્યારેક માંડીશું) અહીંથી થોડું કઠણ ટ્રેકિંગ કરીને બંસી નારાયણ નામની જગ્યાએ પહોંચી શકાય છે એ પણ ખૂબ જ સુંદર જગ્યા છે.
ઉરગમ ઘાટી અને ઉરગમ ગામનો અદ્ભુત દેખાવ
     હું વરસો પહેલા મારી ચાર ધામ પદયાત્રા વેળા હેલંગથી ચાલીને કલ્પેશ્વર ગયો હતો ત્યારે વાહન રસ્તો ન હતો. હવે હેલંગથી ઉરગમ વચ્ચે જીપ માર્ગ બન્યો હોવાથી કલ્પેશ્વર પહોંચવું સાવ આસાન બન્યું છે. ગયા વરસે હું અને મારા મિત્ર ભાનુભાઈ કલ્પેશ્વર ગયા ત્યારે રસ્તામાં થોડું ભંગાણ પડ્યું હોવાથી અમારે ઉરગમ પહોંચવા થોડા કિલોમિટર ચાલવું પડ્યું હતું.
    મિત્રો આ સાથે પંચકેદારની યાત્રા પૂરી થાય છે. આ બ્લોગ આપવા પાછળનો એક માત્ર હેતુ બધાને સાચી માહિતી મળે અને તેના આધારે કોઈ તકલીફ વગર યાત્રા થઈ શકે એ છે. હિમાલય અનેક લોકોને જવું હોય પણ ક્યાં જવું એ મૂંઝવણ હોય છે તેમને માટે આ લેખ મદદરૂપ થશે એમ માનું છું. પંચકેદારની પૂરી યાત્રા એક સાથે કરવી હોય તો પંદરથી વધારે દિવસો લાગી શકે છે. એ માટે કેદારનાથ ખૂલ્યા પછી લગભગ વીસ દિવસ બાદ આયોજન કરવું જેથી બાકીનાં કેદાર પણ ખૂલી ગયા હોય.
નમઃ શિવાય.
-હસમુખ જોષી.

Comments

  1. ખૂબ સરસ વિસ્તૃત વર્ણન

    ReplyDelete
  2. Adbhut. Saheb thank you so much for sharing your experience and guidance

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હિમાલયની એક રાત !

ગંગોત્રી પદયાત્રા