પંચકેદાર
પંચકેદાર હિમાલયનું નામ સાંભળતા જ ચાર ધામની યાત્રા, પંચકેદાર, પંચપ્રયાગ અને સપ્તબદરી સહિત અનેક પુરાણ કથાઓ યાદ આવી જ જાય. આપણા પુરાણોમાં તો સમસ્ત હિમાલયને જ શિવસ્વરૂપ કહેવામાં આવે છે. ઊંચા ઊંચા પહાડોને તેની જટા અને તેમાંથી નીસરતી નદીઓને સ્વર્ગથી ઊતરતી ગંગા સમાન માનવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. હિમાલય માત્ર શ્રદ્ધાની દ્રષ્ટીએ જ નહી પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યની નજરે જોઈએ તો પણ અજોડ છે. હિમાલયમાં શિવમંદિરોનો મહિમા ખૂબ જ મોટો છે , લગભગ દરેક ગામમાં એકાદ શિવમંદિર જોવા મળે જ છે. ગઢવાલ અને કુમાઉં વિસ્તારનાં શિવ મંદિરોની યાદી તો ખૂબ મોટી છે. પણ તેમાં પંચકેદારનું માહાત્મ્ય ખૂબ છે. ગઢવાલી લોકોમાં એક માન્યતા છે કે જીવનમાં એક વાર તો પંચકેદારની યાત્રા કરવી જ જોઈએ. હિમાલયનું અવર્ણનીય સૌંદર્ય અહીં પથરાયું છે. મેં આ યાત્રા બે વાર જુદા જુદા માંગે કરી છે એટલે એ વિસ્તારોનો સારો અનુભવ છે. આજે આ માર્ગદર્શન આપવાનો હેતુ એટલો કે ગુજરાતી ભાષામાં આવી માહિતીની ખોટ છે અને બીજું કે યુવાનોને ત્ય...